ભારત સરકારની રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં 4 આશ્રયસ્થાનો કાર્યરત છે
ત્યારે અહીં આશરો લેનાર બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે ભેસ્તાન સ્થિત બાળકો માટે ખાસ એક લાઇબ્રેરી રૂમ તૈયાર કરવામાં આવ્યો છે
આ રૂમનું નામ ભલે લાઇબ્રેરી રૂમ છે, પરંતુ અહીં બાળકો ડે કેરમાંથી આવ્યા બાદ ટ્યુશન કરે છે
બે શિક્ષકો તેમને માત્ર પાયાનું જ્ઞાન જ નહીં, પરંતુ જનરલ નોલેજ પણ પીરસી રહ્યા છે
સામાન્ય રીતે માતા પિતા તેમના બાળકોના ભણતર માટે શાળા ઉપરાંત ટ્યુશન ક્લાસીસ કરાવવા પાછળ પણ હજારો રૂપિયા ખર્ચ કરે છે
જેમાં ઘણીવાર બાળકોનું રીઝલ્ટ ધાર્યું હોય એ પ્રમાણે મળતું નથી
ત્યારે ભેસ્તાન વિસ્તારમાં આવેલા શેલ્ટર હોમમાં આશ્રિત 75 જેટલા બાળકો માત્ર ડે કેરનું શિક્ષણ જ નહીં, પરંતુ ત્યાંથી પરત ફર્યા બાદ ટ્યુશન ક્લાસીસ પણ મેળવી રહ્યા છે
જ્યાં તેમને અલગ અલગ ભાષામાં શિક્ષણ આપવાની સાથે સાથે એક્સ્ટ્રા કરીક્યુલર એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે
ભટકતું જીવન ગાળતા આશ્રિતો ક્યારેય પોતાના બાળકોના શિક્ષણના લઈને વિચાર કરતા નથી
આ બાળકો પાયાના શિક્ષણથી પણ વંચિત રહી જાય છે. તેવા સમયે આ આશ્રય સ્થાનમાં રહેતા બાળકોને અક્ષર જ્ઞાન આપવામાં આવી રહ્યું છે
આ માટે પાંડેસરા પોલીસ દ્વારા પણ ડે કેરનું સરાહનીય પગલુ ભરવામાં આવ્યું છે. જ્યાં તેમને અભ્યાસ કરાવવામાં આવે છે
આ ઉપરાંત, પાંડેસરા પોલીસ દ્વારા જ વેનમાં બાળકોને શેલ્ટર હોમ થી લાવવા-મૂકવાનું કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે
આ માટે શેલ્ટર હોમમાં ખાસ એક રૂમમાં લાઈબ્રેરી બનાવવામાં આવી છે
એટલું જ નહીં આ રૂમને પેઈન્ટ કરીને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તેને જોઈને જ બાળકોને ભણવાનું મન થઈ જાય છે
રૂમની દિવાલ તેમજ સીલીંગ પર પણ ભણતર લક્ષી પેઈન્ટ કરવામાં આવ્યું છે
અહીં જ બાળકો ડે કેરમાંથી આવ્યા બાદ શિક્ષણ મેળવે છે
શેલ્ટર હોમમાં ફૂટપાથ પર રહેતા કે બ્રિજની નીચે રહેતા લોકોને અહીં આશરો આપવામાં આવે છે
તેમની સાથે તેમના નાના બાળકો પણ હોય છે જે શિક્ષણના લાભ થી દૂર હોય છે
શેલ્ટર હોમના સંચાલક તરુણ મિશ્રાએ જણાવ્યું કે, અમને વિચાર આવ્યો કે કઈ રીતે તેમને શિક્ષણની નજીક લાવવામાં આવે
કારણ કે કહેવાય છે કે જો પરિવારમાંથી એક પણ બાળક ભણી જાય છે તો તેની સમગ્ર જનરેશન સુધરી જાય છે
જેથી એક ડોનરની મદદથી અમે અહીં એક લાઇબ્રેરી બનાવી છે
આવનાર દિવસોમાં અમે આ દરેક બાળકનું એડમિશન શાળામાં કરાવવાના છે જેને માટે વાત થઈ ગઈ છે