

30 મે થી ઇંગ્લેન્ડમાં શરુ થનાર આઈસીસી વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર છે. ટીમનો ઓલરાઉન્ડર કેદાર જાધવ ઇજાગ્રસ્ત થયો છે. કિંગ્સ ઇલેવન પંજાબ સામેના મુકાબલામાં ફિલ્ડિંગ દરમિયાન જાધવને ખભામાં ઈજા થઈ હતી. જે પછી તે મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. મેચ પુરી થયા પછી ચેન્નાઈ સુપરકિંગ્સના કોચ સ્ટિફન ફ્લેમિંગે જાણકારી આપી હતી કે જાધવ આઈપીએલમાંથી બહાર થઈ શકે છે. માનવામાં આવે છે કે જાધવની ઈજા ગંભીર છે અને તેનું વર્લ્ડ કપમાં રમવું પણ મુશ્કેલ છે. આવા સમયે હવે સવાલ એ છે કે કેદાર જાધવ વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થશે તો તેના સ્થાને ટીમ ઇન્ડિયામાં કોનો સમાવેશ થશે? અમ તમને બતાવી રહ્યા છીએ કે કોણ જાધવનો વિકલ્પ બની શકે છે?


જાધવનૌ સૌથી મોટો વિકલ્પ રિષભ પંત હોઈ શકે છે. પંત આઈપીએલની વર્તમાન સિઝનમાં ફોર્મમાં જોવા મળ્યો હતો. તેની બેટિંગ અને વિકેટકિપિંગ અલગ લેવલ ઉપર જોવા મળી છે. પંતં દિલ્હી તરફથી 36.45ની એવરેજથી 401 રન બનાવ્યા છે. આ સિઝનમાં પંતે ચોથા નંબરે બેટિંગ કરી હતી. કેદાર જાધવ પણ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે. તેથી જો પંતને તક મળી તો તેનું સ્થાન લઈ શકે છે.


જાધવનો બીજો સૌથી મોટો વિકલ્પ અંબાતી રાયડુ પણ બની શકે છે. જ્યારે વર્લ્ડ કપની ટીમની પસંદગી થઈ તો રાયડુની પસંદગી થઈ ન હતી. આ પછી ઘણા ક્રિકેટ એક્સપર્ટે આ નિર્ણય પર સવાલ ઉભા કર્યા હતા. જોકે રાયડુ હાલ ફોર્મમાં નથી. તેણે આઈપીએલની 14 મેચમાં ફક્ત એક અડધી સદી ફટકારી છે. તેની એવરેજ 20થી પણ ઓછી છે.


જાધવનો ત્રીજો વિકલ્પ શુભમન ગિલ પણ બની શકે છે. ગિલે આઈપીએલની 13 ઇનિંગ્સમાં 32.88ની એવરેજથી 296 રન બનાવ્યા છે. તેણે ત્રણ અડધી સદી ફટકારી છે. જોકે તેના વિરુદ્ધમાં એ વાત જઈ શકે છે કે તેને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવામાં થોડી પરેશાની થઈ રહી છે.