વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં આવેલું ધરમપુર આગામી સમયમાં દેશ અને દુનિયાભરમાં જાણીતું થવા જઈ રહ્યું છે. કારણ કે, ધરમપુરમાં સમગ્ર દેશ અને દુનિયાને ઉપયોગી થનાર વિશ્વ કક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર શરૂ થઈ રહ્યું છે. આ સર્પ સંશોધન કેન્દ્રમાં દેશભરના અત્યંત ઝેરી સાપોને રાખવામાં આવશે અને તેમનું સંવર્ધન કરી તેના ઝેરમાંથી દવા બનાવવા માટે રિસર્ચ કરવામાં આવશે.
ધરમપુરમાં શરૂ થઈ રહેલું આ સર્પ સંશોધન કેન્દ્ર સંપૂર્ણ પણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશની ગાઇડલાઇન મુજબ કામ કરશે. આ કેન્દ્રમાં રિજીયન સ્પેસિફિક એન્ટિવેનમ ઇન્જેક્શન પણ બનાવવામાં આવશે. આ સંસ્થા સર્પ ગૃહ બનાવીને ઝેર એકત્રીકરણનું કામ કરશે. અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ઝેરી સાપ લાવીને તેનું સંવર્ધન કરવામાં આવશે. ત્યારબાદ આ વિવિધ સાપમાંથી ઝેર કાઢીને એક ખાસ પ્રક્રિયાથી પાવડર તૈયાર કરી સર્પઝેર વિરોધી દવા બનાવતી કંપનીઓને આપવામાં આવશે.
WHOની ગાઇડલાઇન મુજબ કામ કરનારા આ સર્પ સંશોધન કેન્દ્રને સરકારની વિવિધ મંજૂરી પણ મળી ગઈ છે. આથી અત્યારથી જ ધરમપુરમાં હંગામી સર્પ સંશોધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં અત્યારે અહીં કોબ્રા, રસેલ, વાઇપર સહિતના દેશમાં જોવા મળતા 4 જાતિના અત્યંત ઝેરી 40થી વધુ સાપ રાખવમાં આવ્યા છે. તેની સંભાળ માટે ટ્રેન્ડ ક્યુરેટર, વેટરનરી ડૉક્ટર, ટેકનિકલ સ્ટાફ તથા કન્સલટન્ટની નિમણૂંક પણ કરવામાં આવી છે. જે સમયાંતરે સાપોની તંદુરસ્તીની તપાસ કરી ખોરાક-પાણી સહિતની દેખરેખ રાખે છે.
અહીં સાપના સંવર્ધન સાથે તેનું ઝેર કાઢી તેના પર વિશેષ પ્રક્રિયા કરી લાયોફિલાઇઝરથી પાઉડર તૈયાર થશે અને તે પાવડર દેશમાં એન્ટીવેનમ ઈન્જેક્શન બનાવતી કંપનીઓ સાથે એગ્રિમેન્ટ કરી પહોંચાડવામાં આવશે. ત્યારબાદ આવા ઇન્જેક્શન સરકારના માધ્યમથી ધારા ધોરણ મુજબ સર્પ દંશના દર્દીઓની સારવાર માટે હોસ્પિટલો સુધી પહોચાડવામાં આવશે.
કયા સાપમાંથી કેટલું ઝેર મળે? - 1) કોબ્રામાંથી મહિનામાં 4 વખત ઝેર મળે છે. 150 મિલીગ્રામ પ્રમાણે સરેરાશ 600 મિલીગ્રામ ઝેર મેળવી શકાય. 2) રસેલ વાઈપરમાંથી મહિને 100 મિલી ગ્રામ ઝેર કાઢી શકાય. 3) કોમન ક્રેટમાંથી મહિનામાં સાત મિલીગ્રામ ઝેર મળતું હોય છે. 4) સો-સ્કેલ્ડ વાઇપરમાંથી મહિને ત્રણવાર 5 મિલીગ્રામ ઝેર એકત્ર કરવામાં આવશે અને તેનો પાવડર બનાવીને દવા બનાવવાની પ્રક્રિયા કરવામાં આવશે. તેને કારણે સર્પ દંશના અસંખ્ય દર્દીઓના જીવ બચાવવા માટે અત્યંત ઝેરી સાપનું ઝેર જ દવા તરીકે કામમાં આવશે.
ધરમપુરના આ સર્પ સંશોધન કેન્દ્રથી ધરમપુર અને કપડા જેવા અંતરિયાળ પહાડી વિસ્તારના ગરીબ આદિવાસી પરિવારોને સર્પ દંશથી વહેલી તકે સારવાર મળશે અને નવું જીવન મળશે. આ સર્પ સંશોધન કેન્દ્ર ન માત્ર વલસાડ જિલ્લા ગુજરાત રાજ્ય કે ભારત દેશ પરંતુ સમગ્ર દુનિયા માટે ઉપયોગી પૂરવાર થવા જઈ રહ્યું છે. આથી આ વિસ્તારના જન પ્રતિનિધિઓ પણ સર્પ સંશોધન કેન્દ્રની સરાહના કરી રહ્યા છે.
ધરમપુરના આ સર્પ સંશોધન કેન્દ્ર માટે સરકાર દ્વારા 10 કરોડની જોગવાઈ બે વર્ષ અગાઉ બજેટમાં કરવામાં આવી હતી. જો કે, હજુ સુધી માત્ર હંગામી સર્પ સંશોધન કેન્દ્ર જ શરૂ થઈ શક્યું છે. અહીં 3000 સાપો રાખવાની મંજૂરી મળી હોવા છતાં અત્યારે માત્ર 40 સાપોને જ રાખી અને તેના પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અસંખ્ય લોકોના જીવન બક્ષનાર આ સર્પ સંશોધન કેન્દ્ર વહેલી તકે તેની સમગ્ર ક્ષમતા સાથે શરૂ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.