Akshay kadam, Valsad: તડકેશ્વર મંદિર ગુજરાતના વલસાડનું પ્રખ્યાત મંદિર છે. તડકેશ્વર મહાદેવ મંદિર સૂતેલી શિવલિંગ માટે પ્રખ્યાત છે.તડકેશ્વર મંદિર ની ખાસિયત એ છે કે મંદિર ઉપર કોઇ છત નથી તેમજ સૂર્યના સીધા કિરણો શિવલિંગ ઉપર પડે છે. જેના કારણે સૂર્યના કિરણો સતત શિવલિંગને સ્પર્શ કરતા હોવાથી તે તડકેશ્વર મહાદેવના મંદિર તરીકે પ્રસિધ્ધ છે.
વલસાડના અબ્રામા ગામે વાંકી નદીના કિનારે તડકેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન શિવાલય આવેલું છે. આશરે 800 વર્ષ જૂના આ શિવાલયની પૌરાણિક ગાથા અનોખી અને અલૌકિક છે. વર્ષો પહેલાં અહિંના જંગલમાં ગાયો ચરાવતા નિર્દોષ ગોવાળિયાએ એક ગાયને સ્વયંભૂ દૂધની ધારા વહાવતી જોઈ તો તે વિસ્મય પામ્યો હતો. ગામલોકોને જાણ કરતાં તેઓએ તે જગ્યા પર તપાસ કરતાં એક મોટી પથ્થરની શિલા નજરે પડીહતી. ત્યારબાદ આ શિલા પર એક ભક્ત રોજ આવીને દૂધનો અભિષેક કરી જતો હતો.
ભોળા શિવજીએ તેને સ્વપ્નમાં આવી જણાવ્યું કે, તું રોજ આ ઘોર જંગલમાં આવીને મારી પૂજા-અર્ચના કરે છે, તારી નિષ્ઠા અને અનન્ય ભક્તિ થી હું પ્રસન્ન થયો છું. હવે મને આ કાદવકીચડમાંથી બહાર કાઢી યોગ્ય જગ્યાએ લઈ જઈ પૂજન કરજે. ભક્તની લાગણીને માન આપી ગામલોકોએ શિલાની આસપાસ ખોદકામ કરતાં સૌના આશ્ચર્ય વચ્ચે 6થી7 ફૂટ લંબાઈ ઘરાવતું પોઢેલા શિવ જેવા આકારનું લિંગ નજરે પડ્યું હતું.
શિવ લિંગને ખૂબ જ સાવચેતી પૂર્વક લિંગ ખંડિત ન થાય તે રીતે ખોદકામ પૂર્ણ કરાયું હતું. બળદગાડામાં શિલાને લાવી આજના સ્થળે તેમની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. શિવલિંગના રક્ષણ માટે કામચલાઉ દિવાલ અને ઉપર ઘાસનું છાપરું બનાવાયું હતું. પરંતુ થોડા દિવસમાં આ છાપરું અચાનક સળગી ગયું હતું. બાદમાં નળિયાવાળું છાપરું બનાવાયું તો તે વાવાઝોડાથી ઉડી ગયું હતું.