ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી (Valsad heavy rain) માહોલ છવાયો છે. જિલ્લાના કપરાડા તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે સીલધા ગામ (Sildha village)માં એક ઘર તૂટી પડ્યું હતું. મકાન તૂટી પડતા પરિવાર ભર ચોમાસે નોધારો બન્યો છે. આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ નથી. જોકે, ઘર તૂટી પડતાં ઘરવખરીને મોટું નુકસાન થયું છે.
નર્મદા નદી બે કાંઠે થશે: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે થશે. હાલ સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી 55 હજાર ક્યુસેક પાણી છોડાયું છે, જે વધીને 1.45 લાખ ક્યુસેક થશે. જે બાદમાં વડોદરા જિલ્લાનાં ત્રણ તાલુકા શિનોર, કરજણ, ડભોઇનાં ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા નદીના કાંઠે આવતા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કાઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે.
ઉકાઈમાંથી પાણી છોડાયું: ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ઉકાઇ ડેમના 12 દરવાજા 9 ફૂટ સુધી ખોલોયા છે. ડેમની ઉપરવાસમાંથી 2 લાખ 69 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો આજે સાબરતમી નદીમાં પાણી છોડાશે. સાબરમતી નદી અને નર્મદા કેનાલ નેટવર્કમાંથી આજે પાણી છોડવાની શક્યતા છે. જેનાથી સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવશે, જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં સંબંધિતોને સતર્ક રહેવા જિલ્લા વહીવટી તંત્રએ સૂચના આપી છે.