ભરતસિંગ વાઢેર, વલસાડ: વર્ષ 1960 માં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યો અલગ થયા બાદ આજે પણ કેટલીક જગ્યાએ મહારાષ્ટ્ર અને ગુજરાતની હદનો વિવાદ વણઉકેલ્યો રહ્યો છે. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના વચ્ચેની હદનો વિવાદ આજે પણ યથાવત છે. ગુજરાતની સોળસુંબા ગ્રામ પંચાયત માં આવતા 9 સર્વે નંબર પર મહારાષ્ટ્ રાજ્ય પણ પોતાનો હક દાવો કરી રહ્યુ છે. આજે આ વિવાદને લઈને મહારાષ્ટ્રના અધિકારીઓ ગુજરાતમાં માપણી કરવા આવતા અગાઉથી તૈયારીમાં બેઠેલી વલસાડ વહીવટી તંત્ર અને મહારાષ્ટ્રની ટીમોનો આમનો-સામનો થયો હતો.
જ્યાં વલસાડ ટીમે વિરોધ કરતા મહારાષ્ટ્રની ટીમે માપણી કર્યા વિના જ વિલા મોઢે પરત થવું પડ્યું હતું. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય વર્ષ 1960 માં અલગ થયા હતા. 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહારાષ્ટ્ર પોતાનો હક્ક દાવો કરી રહ્યું છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા અને મહારાષ્ટ્ર રાજ્યના તલાસરી તાલુકાના વેવજી ગામ વચ્ચેની હદ પર આવેલા સોલસુંબાના કેટલાક સર્વે નંબર પર આજે પણ મહારાષ્ટ્ર રાજ્ય પોતાના હક જતાવી રહ્યુ છે.
સોળસુંબા ગ્રામ પંચાયત વર્ષોથી જે વિસ્તારમાં અને જે સર્વે નંબરો પર વીજળી પાણી સહિતની સુવિધા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. એવા સર્વે નંબર પર પણ મહારાષ્ટ્ર પોતાનો હક દાવો કરી રહ્યું છે. આથી સોલસુંબા ગ્રામ પંચાયત દ્વારા પણ મહારાષ્ટ્ર દ્વારા કરવામાં આવી રહેલા દાવાનો વિરોધ કરી રહ્યા છે. તો વર્ષોથી સોળસુંબા ગ્રામ પંચાયત, વલસાડ જિલ્લા સહિત રાજ્ય સરકારને ટેક્ષ ચૂકવતા મિલકત ધારકો પણ મહારાષ્ટ્ર કરવામાં આવેલા દાવાનો વિરોધ કરી રહ્યા છે. અને ગુજરાતની સાથે જ રહેવાની માંગ કરી રહ્યા છે.
આ અંગે સોલસુંબા વી મિલકતદાર ચંદ્રકાંત ભાઈ તન્નાનું કહેવું છે કે, ઉમરગામ તાલુકા અને તલાસરી તાલુકાના સ્થાનિક તંત્ર વચ્ચે અત્યાર સુધી પત્રોની આપ-લે થતી હતી. પરંતુ હવે થોડા દિવસ અગાઉ જ મહારાષ્ટ્રના તલાસરી તંત્ર દ્વારા સોળસુંબાના કેટલાક મિલકતધારકોને જમીન માપણીની નોટિસ પાઠવવામાં આવી હતી. આ મિલકત ધારકોએ ઉમરગામ મામલતદાર સહિતના સંબંધિત વિભાગોને આ બાબતની જાણ કરતા આજે સવારથી જ ઉમરગામ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગોની ટીમ પુરા પોલીસ પ્રોટેક્શન સાથે પૂરી તૈયારી સાથે બોર્ડર પર અડિંગો જમાવ્યો હતો.
આ વાત બાદ માપણી બંધ રહી હતી. આ બાબતે હવે ઉમરગામ ટીમ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને સરકારને રિપોર્ટ કરી જરૂરી કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. તો મહારાષ્ટ્રની ટીમે પણ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. મહારાષ્ટ્ર અને ગુજરાતની હદના 60 વ ચાલતો વિવાદ આજે પણ વણઉકેલ્યો છે પરંતુ હવે વિવાદ વધુ મોટું સ્વરૂપ ધારણ કરે એ પહેલાં ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્ય સરકાર દ્વારા બે રાજ્ય વચ્ચેના આ હદ અંગે જરૂરી કાર્યવાહી અને નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે.