

સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકૂઈ ગામના નિવૃત્ત શિક્ષક છોટુભાઈ ખુશાલભાઈ પટેલ ૨૦૧૮ના વર્ષમાં શિક્ષકની સેવામાંથી સેવાનિવૃત્ત થયા છે. પર્યાવરણની જાળવણી માટે અન્યન્ય તમન્નાએ શિક્ષણ પ્રેમી એવા પટેલે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી જતન કરવાની પ્રેરણા પુરી પાડી છે.


છોટુભાઈ પટેલે મહુવા તાલુકાની ૧૩૭ જેટલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના ૧૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ૧૦ હજાર જેટલી આંબાની કલમો એનાયત કરીને પર્યાવરણના પડકારો સામે બાથ ભીડી છે.


છોટુભાઈ પટેલ કહે છે કે, માનવીનાં અને સમગ્ર જીવસૃષ્ટિનાં સંરક્ષણ માટે પર્યાવરણનું સંરક્ષણ જરૂરી છે. જયારે સ્કુલમાં બાળકોને અભ્યાસ કરાવતો ત્યારે વિજ્ઞાન પ્રદર્શનમાં એક સમયે ધુમાડાના શુધ્ધિકરણનો પ્રોજેકટ પ્રદર્શિત કર્યો હતો. જેને નેશનલ કક્ષાએ લઈ ગયા હતા. ઘરતીમાતાને વૃક્ષોથી આચ્છાદિત થાય તો હવાનું શુધ્ધિકરણ ઝડપથી થાય.


છોટુભાઈએ કહ્યું કે, પર્યાવરણના જતન માટે આપણે પણ કંઈક કરવું જોઈએ તેવા આશયથી મહુવા તાલુકાની ૧૩૭ જેટલી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસમાં કરતા ગરીબ બાળકોને પ્રત્યેક બાળકદિઠ એક-એક આંબાની ચીપ કલમનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે.


તાલુકાની દરેક શાળામાં પોતે જાતે મજુરો સાથે ટેમ્પો લઈને દરેક શાળાઓ જઈને વિતરણનું ભગીરથ કાર્ય કર્યું છે. સામાન્ય રીતે એક આંબાની કલમ રૂા.૮૦ થી ૧૦૦ ભાવે મળે છે. પણ બાળકોને વિનામૂલ્યે આપીને મીશાલ પુરી પાડી છે. છોટુભાઈ કહે છે કે, અમોએ ફેબ્રુઆરીમાં જઈને વાંસદા તાલુકાના વણારસી ગામેથી કલમ લાવીને મારા ઘરની પાછળના વાડામાં બેડ બનાવીને કલમનું રોપાણ કર્યું હતું. હાલ ચોમાસાનો સમય હોવાથી કલમથી વૃધ્ધિ સારી રીતે થઈ શકે તે માટે વિતરણ કરવામાં આવ્યું છે.