કિર્તેશ પટેલ, સુરત: અમદાવાદ રેન્જ આઇજીના આર આર સેલ (R R Cell)ના પોલીસ કર્મચારી (Police staff) રૂપિયા 50 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ સરકાર તરફથી આર આર સેલ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદમાં રેન્જ આઇજી દ્વારા નવી સ્ક્વૉડ શરૂ કરવામાં આવી છે. આ સ્કવૉડના વહીવટદાર દ્વારા હપ્તા પેટે માંગેલા રૂપિયા (Bribe) લેવા જતાં એક વચેટિયો અમદાવાદ એસીબી (Ahmedabad ACB)ના હાથે ઝડપાયો છે. આ કેસમાં પોલીસે લાંચ માંગનાર જમાદારની પણ ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ રેન્જ આઇજી કર્મચારી લાંચકાંડ બહાર આવ્યા બાદ ગતરોજ જિલ્લા પોલીસના આર.આર.સેલના જમાદાર મહાદેવ સેવાઇકર અને એક વચેટિયો પીપોદરામાં એક ઓઇલ વેપારી પાસેથી 4.50 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. પીપોદરા વિસ્તારમાં વેપારી ઇન્ડસ્ટ્રીયલ ઓઈલનો વેપાર કરે છે. જિલ્લા પોલીસની આર આર સેલમાં પહેલા ફરજ બજાવતા જમાદાર મહાદેવ સેવાઇકર અને વિપુલ બલર નામનો વચેટિયો અને અન્ય એક પોલીસવાળો વેપારી પાસે ગયા હતા અને ધંધો કરવા માટે 4.50 રૂપિયાની માંગણી કરી હતી.
આ દરમિયાન વેપારીએ તેમને સમજાવ્યું હતુ કે, તેઓ ઓઈલનો કાયદેસરનો વેપાર કરે છે. છતાં જમાદાર અને વચેટિયો માન્યા ન હતા. વચેટિયાએ વેપારીને ફોન પણ કર્યા હતા. તેથી વેપારીએ એન્ટી કરપ્શનની અમદાવાદ કચેરીને ફરિયાદ કરતા ત્યાંથી ટીમ આવી હતી. ગુરૂવારે કિમ-પીપોદરામાં વચેટિયા વિપુલ બલરની ઓફિસમાં વેપારી લાંચના 4.50 લાખ આપવા આવ્યો ત્યારે એસીબીની ટીમે વિપુલને ઝડપી પાડ્યો હતો. આ જ સમયે મહાદેવ પણ આવી જતા એસીબીએ તેને પણ પકડી લીધો હતો. એસીબીએ મહાદેવ સેવાઈ, વિપુલ બલર અને અન્ય એક પોલીસવાળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. વિપુલ કેમિકલનો વેપાર કરે છે.
ઉલ્લેખનીય છે કે 30 જાન્યુઆરીના રોજ મહાદેવ અને અન્ય પોલીસવાળાઓએ ઓઇલના વેપારીને ત્યાં બોગસ રેડ કરી હતી. જે તે સમયે તેઓએ વેપારીની એવું કહ્યું હતુ કે, ધંધો કરવો હોય તો દર મહિને 4.50 લાખ રૂપિયા વિપુલને આપવા પડશે. ઓઇલના વેપારીને વચેટિયા અને પોલીસવાળાએ એવું પણ જણાવ્યું હતું કે, આ રૂપિયા ઉપરવાળા અધિકારીઓને પણ આપવાના હોય છે. આ કેસમાં અન્ય એક વેપારીની પણ સંડોવણી ખુલતા એસીબીએ તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
સરકારે આર આર સેલને બંધ કરતા અધિકારીઓ તરફથી નવી ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમમાં આર આર સેલના જ કર્મચારીઓને મૂકી દેવામાં આવ્યા છે. જે રીતે આર આર સેલ પર ફક્ત રૂપિયાની ઉઘરાણી કરવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે નવી સક્વૉડ પર પણ આ જ પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે. અમદાવાદ બાદ સુરત રેન્જના વહિવટદાર એસસીબીના હાથમાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે.