કિર્તેશ પટેલ કોરોના વાયરસની મહામારી વચ્ચે ફરી એકવાર તંત્રની અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલ બેદરકારી સામે આવી છે. સુરતના અમરોલી વિસ્તારના આધેડનું કોરોના સારવાર દરમિયાન મોત થયાના પાંચમા દિવસે મનપા કર્મચારીનો ફોન આવે છે અને દર્દીની તબિયત સારી છે કે કેમ તે બાબતે પૂછે છે. જોકે ફોન આવતા પરિવાર ચોંકી ઉઠે છે અને ફોન કરનારને કહે છે કે દર્દી મુત્યુને આજે પાંચ દિવસ થયા. આટલું સાંભળતા જ મનપા કર્મચારી ફોન મૂકી દે છે. (પ્રતિકાત્મક તસવીર)
કોરોના મહામારી વચ્ચે તંત્ર સતત બેદરકારી સામે આવતી રહે છે. થોડા દિવસ પહેલા એક પરિવારની મહિલાના મોતનાં 11માં દિવસે ફોન આવે છે અને તેમની તબિયત સારી હોવાનું કહેતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. કારણ કે તેમની માતાનાં મૃત્યના 11 દિવસે ફોન કરીને તેમાંય તબિયત સારી હોવાનું જણાવતા પોતાની માતાની જગ્યા પર બીજા કોઈના અંતિમ સંસ્કાર કરી નાખ્યા છે કે કેમ તેને લઇને પરિવાર મૂંજવણમાં મૂકાયો હતો. જોકે તપાસ કરતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી.
અવસાન પછી બે વખત આ રીતે ફોન આવતાં પરિવારજનોમાં આક્રોશ પણ ફેલાયો હતો. આ અંગે પુત્ર ભાવિને આ લાપરવાહીઓના કારણે જ પિતા મોતને ભેંટ્યા હોવાનો આક્ષેપ કર્યોં હતો. સાથે જ સિવિલ હોસ્પિટલની પણ લાપરવાહીઓ ગણાવી હતી. ભાવિને કહ્યું કે, સારવાર દરમ્યાન પિતાએ રાત્રે 3 વાગ્યે ઘરે ફોન કરી જણાવ્યું કે, સ્ટાફ પાસે રાતે 12 વાગ્યાથી પાણી માંગુ છું પણ હજુ કોઇએ પાણી આપ્યું નથી. ભાવિને તંત્રની લાપરવાહીઓ ઉપર ઘેરો શોક વ્યક્ત કરી બીજા સાથે આવું ન થાય તેવી કાળજી લેવા માંગ કરી હતી.