આજે આખા ગુજરાતમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અમદાવાદમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે આજે સાંજે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. શહેરના વેજલપુર, પ્રહલાદનગર, બોપલ, નારણપુરા, આશ્રમ રોડ, એસ.જી હાઈવે, થલતેજ, નહેરુનગર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, પાલડી, એલિસબ્રિજ, રિવરફ્રન્ટ, સરખેજ, સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદના પગલે અનેક જગ્યા પર ઝાડ ધરાશાયી થઈ ગયા હતા. અનેક જગ્યા પર વીજ પોલ પણ ધરાશાયી થયા હતા. મુખ્ય રોડ પર ઝાડ પડી જવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા પણ સર્જાઈ હતી.
દ્વારકાના વિંજલપરમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જોકે વીજળી પડતા ભેંસોના મોત થયા હતા. વાડી વિસ્તારમાં વીજળી પડતા 3 ભેંસો મોતને ભેટી હતી. આ ઘટનાને પગલે ખેડૂત માટે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભેંસોના મૌતથી ખેડૂત પરિવારમા શોકનું મોજુ ફરીવળ્યું છે. વિંજલપર ગામે વીજ પડવાથી થયેલ ભેંસોના મોત મામલે અધિકારીઓને જાણ કરાઈ હતી.
દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ આજે જમાવટ કરી કરી હતી. જેમા ઉમરપાડામાં વરસાદનું જોર વધ્યું હતું ત્યાં જ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. જ્યાં બપોર બાદ ધોધમાર વરસાદ શરુ થયો હતો. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ધોધમાર વરસાદથી ઉમરપાડા તાલુકો પાણી-પાણી થઈ ગયો છે. જોકે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઇ હતી.
અરવલ્લીના માલપુર અને મેઘરજ તાલુકામાં મીની વાવાઝોડું આવ્યું હતું અને ધોધમાર વરસાદ વરસ્યો છે. રીંછવાડ, લીંબોદરા, અણીયોરમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રીંછવાડમાં ભારે પવનના વંટોળમાં છત ઝાડ પર લટકી ગયાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યાં જ આ દરમિયાન એક વ્યક્તિ અને એક પશુનું મોત થયું છે. અહીં વાવાઝોડા અને વરસાદના કારણે કાચા મકાનોમાં ભારે નુકસાન થયું છે. અણીયોર ગામ પાસે ઝાડ પડતા યુવકનું મોત નિપજ્યું હતું અને તાલુકામાં મીની વાવાઝોડાએ ભારે નુકશાન કર્યું છે.