

નવી દિલ્હી : એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપ 2020 રદ થયા પછી આઈપીએલ 2020ના આયોજનનો રસ્તો પહેલા જ ક્લિન થઈ ગયો છે. જોકે પ્રશંસકોના મનમાં સવાલ હતો કે આખરે આ ટૂર્નામેન્ટ ભારતમાં આયોજીત થશે કે વિદેશમાં. હવે આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલના ચેરમેન બ્રુજેશ પટેલે આઈપીએલના આયોજન સ્થળ પરથી પડદો ઉઠાવી લીધો છે. બ્રુજેશ પટેલે એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કરી દીધું છે કે 2020ની આઈપીએલ યૂએઈમાં યોજાશે. બ્રુજેશ પટેલે એમ પણ કહ્યું છે કે હાલ આઈપીએલના આયોજનની તારીખ નક્કી નથી.


સ્પોર્ટ્સ સ્ટાર સાથે ખાસ વાતચીતમાં બ્રુજેશ પટેલે કહ્યું કે યૂએઈમાં આઈપીએલ 2020નું આયોજન થશે પણ હાલ ટૂર્નામેન્ટની તારીખ નક્કી થઈ નથી. તેમણે જાણકારી આપી કે આગામી સપ્તાહે આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલની વીડિયો બેઠક થશે. જેમાં ટૂર્નામેન્ટની તારીખો અને માનક સંચાલન પ્રક્રિયા પર નિર્ણય કરવામાં આવશે.


બ્રુજેશ પટેલે કહ્યું કે ભારત સરકાર પાસેથી તેમને મંજૂરી મળ્યા પછી આઈપીએલ 2020નો કાર્યક્રમ તૈયાર થશે. એવું માનવામાં આવે છે કે આઈપીએલનું આયોજન 28 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી થશે. જોકે બ્રુજેશ પટેલે આ વાતની ફગાવી દીધી છે. તેમણે કહ્યું છે કે ગર્વનિંગ કાઉન્સિલની બેઠક પછી જ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. યૂએઈએ અમને આઈપીએલ આયોજીત કરવાની ઓફર આપી હતી અને હવે ત્યાં આયોજીત કરવાની જાણકારી આપીશું. જોકે આ પહેલા આઈપીએલની તારીખ અને આખો કાર્યક્રમ આપવો ઘણો જરૂરી છે.