

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020) શરૂ થયાને એક મહિનાનો સમય થઈ ગયો છે. ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai Super Kings)પોતાની અપેક્ષા પ્રમાણે શાનદાર પ્રદર્શન કરી શકી નથી. તે પ્લેઓફમાંથી બહાર થવાની કગાર પર છે. 10 મેચમાં ફક્ત 3 મેચમાં જીત મેળવી 6 પોઇન્ટ સાથે તે સૌથી નીચલા ક્રમાંકે છે. આઈપીએલની 13મી સિઝનમાં ધોનીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠી રહ્યા છે. યુવા ખેલાડીઓને તક નહીં આપવાથી લઈને સતત ખરાબ પ્રદર્શન કરનાર ખેલાડીઓને તક આપવાના કારણે ધોની પર સવાલ છે. ટીમના અધિકતર ખેલાડીઓની ઉંમર 30-35 વર્ષની પાર છે. આવામાં ચેન્નઈના પાંચ ખેલાડીઓ એવા છે જેમની આ આઈપીએલની સિઝન અંતિમ બની શકે છે.


ઇમરાન તાહીર - ગત સિઝનમાં લીડિંગ વિકેટ ઝડપનાર ઇમરાન તાહીર આ સિઝનમાં એકપણ મેચ રમ્યો નથી. તે સીએસકેનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. તે 42 વર્ષનો છે. માનવામાં આવે છે કે તે અંતિમ આઈપીએલ રમી રહ્યો છે.


હરભજન સિંહ - આઈપીએલના ઇતિહાસના સફળ બોલર હરભજનની ઉંમર 40 વર્ષ થઈ ગઈ છે. અંગત કારણોસર તે આ વખતે આઈપીએલમાંથી નામ પરત ખેંચી લીધું છે. હરભજન નિયમિત રુપથી ક્રિકેટ રમતો નથી. સીએસકે સાથે તેનો ત્રણ વર્ષનો કરાર ખતમ થઈ રહ્યો છે અને લાગે છે કે તેને રિન્યૂ કરવામાં આવશે નહીં.


શેન વોટ્સન - શેન વોટ્સને 2018-19માં બતાવ્યું કે ફોર્મ અસ્થાયી છે અને ક્લાસ સ્થાયી. જોકે આઈપીએલ-2020માં તે સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શક્યો નથી. તેણે 10 મેચમાં 285 રન બનાવ્યા છે. તે 39 વર્ષનો છે અને આગામી આઈપીએલમાં ના રમે તેવી સંભાવના છે.


કેદાર જાધવ - જાધવ આ સિઝનમાં ખરાબ ફોર્મમાં છે. 8 મેચમાં તેણે 62 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 93.93ની છે. તેનો બેસ્ટ સ્કોર 26 રન છે. તે 36 વર્ષનો થઈ ગયો છે. સીએસકે આઈપીએલ 2020 પછી તેને મુક્ત કરવા વિશે વિચારી શકે છે.