ભારતીય ટીમે પ્રથમ દાવમાં 404 રનનો સારો સ્કોર બનાવ્યો હતો. કુલદીપે 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જેના જવાબમાં ગુરુવારે બીજા દિવસની રમતના અંતે બાંગ્લાદેશે 133 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. તેના પર ફોલોઓન થવાનો ભય છે. લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવને ફેબ્રુઆરી 2021 પછી પ્રથમ વખત ટેસ્ટ મેચ રમવાની તક મળી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ (IND vs BAN)માં તેણે શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી છે.
બાંગ્લાદેશની ઈનિંગ્સની વાત કરીએ તો તેનો કોઈ પણ બેટ્સમેન અત્યાર સુધી 30 રનના આંકડાને સ્પર્શી શક્યો નથી. આ તેની ખરાબ બેટિંગ દર્શાવે છે. સ્પિન બોલરોને પીચમાંથી મદદ મળી રહી છે. આવી સ્થિતિમાં ત્રીજા અને ચોથા દિવસે બેટિંગ કરવી સરળ નથી. કુલદીપ યાદવે અત્યાર સુધી 4 વિકેટ ઝડપી છે. તો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને 3 જ્યારે ઉમેશ યાદવને એક વિકેટ મળી હતી. ઓફસ્પિનર આર અશ્વિન પણ ટીમમાં છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા મેચમાં ઘણી આગળ દેખાઈ રહી છે.
પ્રથમ ટેસ્ટમાં 5 વિકેટ લેનાર 28 વર્ષના કુલદીપ યાદવના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો આ તેની માત્ર 8મી મેચ છે. તેણે અત્યાર સુધીમાં 22ની એવરેજથી 30 વિકેટ ઝડપી છે. 57 રનમાં 5 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે 2 વખત 3 વિકેટ લીધી છે. તે ફરી એકવાર 5 વિકેટ લેવાની નજીક છે. તેણે 27 મેડન ઓવર ફેંકી છે. એટ્લે કે કુલદીપની મેડન ઓવર્સ કરતાં તો તેની વિકેટ્સ વધારે છે .આ રસપ્રદ આંકડા છે કારણ કે બોલરો ટેસ્ટમાં વધુ મેડન ઓવર ફેંકે છે. જો તમે આર અશ્વિનના આંકડાઓ પર નજર નાખો તો તેણે અત્યાર સુધી ટેસ્ટમાં 795 મેડન ઓવર ફેંકીને 442 વિકેટ ઝડપી છે.
ઉત્તરપ્રદેશનો ખેલાડી કુલદીપ યાદવ છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાની અંદર અને બહાર થયા કરે છે. તેનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રેકોર્ડ શાનદાર છે. તેણે અત્યાર સુધી 34 મેચની 56 ઇનિંગ્સમાં 31ની એવરેજથી 126 વિકેટ ઝડપી છે. 79 રનમાં 6 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. તેણે 8 વખત 4 વિકેટ અને 6 વખત 5 વિકેટ લીધી છે. આ સાથે જ એક સદી અને 6 અડધી સદીની મદદથી 874 રન પણ બનાવ્યા છે. 117 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. તેનો ઓવરઓલ T20માં પણ સારો રેકોર્ડ છે. તેણે 121 મેચમાં 149 વિકેટ લીધી છે.
કુલદીપે આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે 7 ટેસ્ટ, 73 ODI અને 25 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. વનડેમાં તેણે 28ની એવરેજથી 119 વિકેટ લીધી છે. 25 રનમાં 6 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. 5 વખત 4 અને એક વખત 5 વિકેટ લીધી છે. આ સાથે જ ટી20માં 14ની એવરેજથી 44 વિકેટ લીધી છે. 24 રનમાં 5 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. તેણે લિસ્ટ-એ ક્રિકેટમાં 140 વિકેટ લીધી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટે ટીમ ઈન્ડિયાને બાકીની 6માંથી 5 મેચ જીતવી જરૂરી છે. જેમાં બાંગ્લાદેશ તરફથી 2 મેચ જ્યારે ઓસ્ટ્રેલિયાથી 4 મેચ રમવાની છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ જેવી પ્રમાણમાં નબળી ટીમ સામે બંને મેચ જીતવા માંગશે. ભારતે કાંગારૂ ટીમ સામે ઘરઆંગણે રમવાનું છે. હોમ ગ્રાઉન્ડ પર ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. આ ચેમ્પિયનશિપની બીજી સિઝન છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ સિઝનની વાત કરીએ તો ભારતીય ટીમે ફાઈનલ સુધીનો પ્રવાસ ખેડ્યો હતો. જોકે તેને ન્યુઝીલેન્ડ દ્વારા ફાઇનલમાં પરાજય મળ્યો હતો.