નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીના કારણે વર્ષ 2020 ખેલ જગત માટે પણ ઘણું ખરાબ રહ્યું છે. કોવિડ-19ના કારણે ખેલાડી અને પ્રશંસકો બંને લાંબા સમય સુધી ઘરોમાં કેદ રહ્યા. અનેક મહિનાઓ સુધી ઘરોમાં કેદ રહ્યા બાદ જુલાઈમાં કેટલાક ક્રિકેટર્સ સ્ટેડિયમમાં પરત ફર્યા. બાયો બબલમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ સીરીઝની સાથે ક્રિકેટની મેદાન પર વાપસી થઈ. IPL 2020 જેવી મોટી ટૂર્નામેન્ટ પણ રમાઈ પરંતુ તેની સાથે જ કેટલાક દિગ્ગજ ખેલાડીઓએ ક્રિકેટની દુનિયાને અલવિદા પણ કહી દીધું. આ વર્ષે પાંચ દિગ્ગજ ખેલાડીઓએ સંન્યાસની જાહેરાત કરી. (ફાઇલ તસવીર)
મહેન્દ્ર સિંહ ધોની- ભારતને બે વર્લ્ડ કપ અને એક આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનારા પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈને સૌને ચોંકાવી દીધા. 16 વર્ષ લાંબી કારકિર્દીમાં ધોનીએ 350 વનડેમાં 10773 રન 50.58ની સરેરાશથી કર્યા છે. ધોનીએ 90 ટેસ્ટ અને 98 ટી20માં ક્રમશઃ 4876 અને 1617 રન 3809 અને 37.60ની સરેરાશથી કર્યા છે. જોકે ધોની IPL 2020માં રમતો જોવા મળ્યો હતો. ધોનીએ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે અંતિમ આંતરરાષ્ટ્રીય વનડે રમી હતી. (ફાઇલ તસવીર)
સુરેશ રૈનાઃ ધોનીના સંન્યાસ લીધાની જાહેરાતના થોડા કલાકો બાદ જ સુરેશ રૈનાએ પણ નિવૃત્તિની જાહેરાત કરી દીધી. સુરેશ રૈના લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર હતો. તેણે 17 જુલાઈ 2018ના રોજ ઈંગ્લેન્ડની વિરુદ્ધ લીડ્સમાં છેલ્લી વનડે રમી હતી. તેણે ભારતીય ટીમ માટે 18 ટેસ્ટમાં 26.48ની સરેરાશથી 768 રન કર્યા, જેમાં એક સદી અને સાત અડધી સદીનો સમાવેશ થાય છે. રૈનાએ 226 વનડેમાં 35.31ની સરેરાશથી 5615 રન કર્યા છે અને તેણે આ ફોર્મેટમાં પાંસ સદી અને 36 અડધી સદી કરી છે. રૈનાએ 78 ટી20માં એક સદી અને પાંચ અડધી સદીની મદદથી 29.16ના સરેરાશથી 1605 રન કર્યા છે. (ફાઇલ તસવીર)
પાર્થિવ પટેલઃ 9 ડિસેમ્બરે વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટથી સંન્યાસ લઈ લીધો. પાર્થિવે સોશિયલ મીડિયાના માધ્યમથી સંન્યાસની જાહેરાત કરી. પાર્થિવ પટેલે 17 વર્ષ 153 દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. પાર્થિવે ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે અને બે ટી20 રમી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત માટે રમતાં પાર્થિવે 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. પાર્થિવે ટેસ્ટમાં 31.13ની સરેરાશથી 934 રન કર્યા છે. બીજી તરફ વનડેમાં 23.7ની સરેરાશથી 736 રન કર્યા છે. આ ઉપરાંત વિકેટકિપર તરીકે ટેસ્ટમાં 62 કેચ અને 10 સ્ટમ્પિંગ કર્યા છે. (ફાઇલ તસવીર)
મોહમ્મદ આમિરઃ 17 ડિસેમ્બરે પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે ક્રિકેટની સંન્યાસ લઈને સૌને ચોંકાવી દીધા. આમિરે ટીમ મેનેજમેન્ટ પર મેન્ટલ ટોર્ચરના આરોપ લગાવ્યા. અમિરે ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી 35 સભ્યોની ટીમમાં સામેલ નહોતો કરવામાં આવ્યો. ત્યારબાદ જ તેણે ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો. આમિરે 30 ટેસ્ટ, 61 વનડે એન 50 ટી20 રમી છે. તેણે ટેસ્ટમાં 119, વનડેમાં 81 અને ટી20માં 59 વિકેટ ઝડપી છે. (ફાઇલ તસવીર)
ઈરફાન પઠાણઃ 2007માં ટી20 વર્લ્ડ કપના હીરો ઓલ રાઉન્ડર ઈરફાન પઠાણે પણ ક્રિકેટના ત્રણેય ફોર્મેટથી સંન્યાસની ઘોષણા કરી. 35 વર્ષીય ઈરફાનને કપિલ દેવ બાદ સ્વિંગ અને સીમનો બાદશાહ માનવામાં આવતો હતો. ઇરફાન પઠાણે 120 વનડે, 24 ટી20 રમી અને 301 વિકેટ ઝડપી. તેણે એક સદી અને 11 અડધી સદીની સાથે 2821 રન કર્યા. (ફાઇલ તસવીર)