ગત ટી-20 વર્લ્ડ કપમાં ભારત સેમિફાઈનલમાંથી બહાર ફેંકાયું હતું. વર્ષ 2022માં રમાયેલા ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતે બે ડઝનથી વધુ ખેલાડીઓને અજમાવ્યા હતા. જેના પરિણામે ટુર્નામેન્ટ પહેલા સ્થાયી ટીમ તૈયાર નહોતી. પરિણામે ટી-20 વર્લ્ડ કપમાં ભારતને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. અગાઉની ભૂલમાંથી બોધપાઠ લઈને બીસીસીઆઇએ વન-ડે વર્લ્ડકપની તૈયારી શરૂ કરી દીધી છે. આ પ્લાન હેઠળ આ વર્ષે વનડેમાં વધુ પડતાં ખેલાડીઓને અજમાવવામાં આવશે નહીં. જેથી 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. તેમને રોટેશનમાં તક મળશે. જેથી વર્લ્ડ કપ પહેલા એક સ્થાયી વન-ડે ટીમ તૈયાર કરી શકાય.
બીસીસીઆઇએ શોર્ટલિસ્ટ કરેલા 20 ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ વિકેટકીપર તરીકે સંભવિતોમાં રિષભ પંત ચોક્કસ સામેલ હશે તેમ માની શકાય. તેના સિવાય સંજુ સેમસનનું નામ પણ હોઇ શકે છે. આ ઉપરાંત વધુ બે વિકેટકિપર પણ બીસીસીઆઇના વર્લ્ડ કપના પ્લાનિંગનો હિસ્સો બની શકે છે અને આ યાદીમાં યુવા વિકેટકિપરનું પાંચમું નામ જોડાઈ શકે છે. ત્યારે ટીમમાં વિકેટકીપર તરીકે કોણ કોણ દાવેદાર છે તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
ઋષભ પંતઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર ઋષભ પંત માટે વર્ષની શરૂઆત સારી નહોતી. રોડ એક્સિડન્ટમાં ઈજાને કારણે હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ઘૂંટણની સર્જરી બાદ તેનું મેદાન પર પરત ફરવું 6 મહિના પહેલા શક્ય નથી. જોકે શોર્ટલીસ્ટ કરાયેલા 20 ખેલાડીઓમાં પંતનું નામ સામેલ હશે જ તેવું માનવું ખોટું નથી. વન-ડે વર્લ્ડકપની દ્રષ્ટિએ તે ટીમ ઇન્ડિયા માટે ઘણો મહત્વનો ખેલાડી છે. ટીમમાં સમાવવાનો તેનો દાવો સૌથી મજબૂત છે. તે એક્સ-ફેક્ટર પ્લેયર છે અને પોતાના દમ પર મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. તેની વિકેટકીપિંગમાં પણ સુધારો થયો છે. ગત વર્ષે તેણે 12 વન ડેમાં 37ની એવરેજથી 336 રન ફટકાર્યા હતા. તેણે 1 સદી અને 2 અડધી સદી ફટકારી હતી.
સંજુ સેમસનઃ વન-ડે વર્લ્ડકપ માટે બીજા વિકેટકીપર તરીકે શોર્ટલિસ્ટ થયેલા ખેલાડીઓમાં સંજુનું નામ સામેલ હોઈ શકે છે. તે પંતની જેમ આસાનીથી મોટા શોટ્સ પણ રમે છે. ગત વર્ષે વન-ડેમાં તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. સંજુએ 2022માં રમાયેલી 10 વન ડેમાં 71ની એવરેજથી 284 રન ફટકાર્યા હતા. પંત (96.55) કરતાં તેનો સ્ટ્રાઇક રેટ સારો રહ્યો છે. સંજૂએ 105ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. સંજુ ટોપ ઓર્ડરની સાથે સાથે મીડલ ઓર્ડરમાં પણ બેટીંગ કરે છે. જોકે તે તકોનો લાભ લેવામાં નિષ્ફળ જાય છે. આવી સ્થિતિમાં વન ડે વર્લ્ડ કપની ટીમમાં સ્થાન બનાવવા તકનો લાભ લેવો પડશે.
ઈશાન કિશનઃ વન-ડે વર્લ્ડકપ માટે ઈશાન કિશનનો પણ દાવો મજબૂત છે. ઈશાનનું નામ પણ સંભવિત યાદીમાં સામેલ હોય શકે છે. ઈશાન પણ પંત જેવો ડાબોડી બેટ્સમેન છે. તે ટી-20માં ઓપનરની ભૂમિકા ભજવી રહ્યો છે અને વન ડેમાં પણ તેને અજમાવવામાં આવી શકે છે. ઈશાને તાજેતરમાં જ બાંગ્લાદેશ પ્રવાસમાં વન ડેની ફાસ્ટેસ્ટ બેવડી સદી ફટકારી હતી. તે સામેવાળી ટીમને હંફાવી શકે છે. ઇશાને 2022માં પંત કરતા વધુ રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ પણ સારી છે. ઈશાને 2022માં 8 વન ડેમાં 60ની એવરેજથી 417 રન ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 110ની નજીક હતી.
કેએલ રાહુલ: રાહુલનું નામ 20 સંભવિત ખેલાડીઓની યાદીમાં હોય શકે છે. તેને વિકેટકીપર-બેટ્સમેનની જવાબદારી મળી શકે છે. અગાઉ 2003ના વર્લ્ડ કપમાં રાહુલ દ્રવિડે પણ આ જવાબદારી નિભાવી હતી. તેણે બેટ્સમેનની સાથે સાથે વિકેટકીપરની ભૂમિકા પણ ભજવી હતી. આ રણનીતિથી ભારતને ફાયદો થયો હતો અને ટીમ ઈન્ડિયાએ ફાઈનલ રમી હતી. આવી સ્થિતિમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે કેએલ રાહુલને વનડે વર્લ્ડકપ માટે તૈયાર કરી શકાય છે. તે ટોપ સાથે મિડલ ઓર્ડરમાં પણ બેટિંગ કરી શકે છે. જોકે, ગત વર્ષે વન ડેમાં તેનો દેખાવ સારો નહોતો. તેણે 27ની એવરેજથી 251 રન બનાવ્યા હતા.
આમ જોવા જઈએ તો વન-ડે વર્લ્ડકપના 20 સંભવિત ખેલાડીઓમાં ઉપરના 4 વિકેટકીપરમાંથી કોઈને પણ જગ્યા મળી શકે છે. પરંતુ પાંચમો વિકેટકીપર-બેટ્સમેન ડાર્કહોર્સ બની શકે છે. તેનું નામ છે જિતેશ શર્મા, જેને સેમસનની ઈજા બાદ શ્રીલંકા સામેની ટી-20 શ્રેણી માટેની ભારતીય ટીમમાં અચાનક સામેલ કરવામાં આવ્યો છે. જિતેશે ગત વર્ષે આઇપીએલની 10 ઇનિંગ્સમાં 22 ચોગ્ગા અને 12 છગ્ગાની મદદથી આશરે 164ની સ્ટ્રાઇક રેટથી 234 રન નોંધાવ્યા હતા.