

ભરતસિંહ વાઢેર, વલસાડ : જિલ્લાના ભીલાડ પોલિસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા એક પોલીસકર્મી એ પોતાના ઘરમાં જ આપઘાત કરી લેતા સમગ્ર જીલ્લાના પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે. મહત્વપૂર્ણ છે કે ભીલાડ પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ રાઈટર તરીકે ફરજ બજાવતા એ.એસ.આઇ રતિલાલ ભાઈ ગાવિત કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં જિલ્લાભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.


બનાવની મળતી વિગત પ્રમાણે, એસઆઈ રતિલાલ ગાવિત કેટલાક સમયથી ભીલાડ પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ રાઈટર તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે તેમને સોંપવામાં આવેલી નાસતા ફરતા આરોપીઓની યાદીની કામગીરી અંગે માહિતી નહી પહોંચતા પોલીસ સ્ટેશનમાંથી તેમને પૂછવા સંપર્ક કરવા પ્રયાસ કર્યા હતા.


પરંતુ તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર નહીં થતા ફોન પર સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ બાદ પણ તેમની સાથે વાત નહીં થઈ શકતા પોલીસ સ્ટેશનની નજીકમાં જ આવેલા પોલીસ લાઇનમાં તેમના સરકારી ક્વાર્ટરમાં તપાસ કરતા તેમના ઘરનો દરવાજો અંદરથી બંધ હતો, અને કોઈ પ્રતિક્રિયા નહીં મળતા ભીલાડ પોલીસ સ્ટેશનના અન્ય પોલીસ કર્મીઓ ત્યાં પહોંચી અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો.


દરવાજો અંદરથી નહીં ખૂલતાં દરવાજો તોડી અંદર તપાસ કરતા એસઆઈ રતિલાલ ગાવિત બેહોશ અવસ્થામાં મળી આવ્યા હતા, અને નજીકમાં જ ઝેરી દવાની બોટલ પડેલી હોવાથી પોલીસ પરિસ્થિતિ પારખી ગઈ હતી, અને ત્યારબાદ તાત્કાલીક 108ની ટીમે સ્થળ પર બોલાવવામાં આવી હતી. પરંતુ 108ની ટીમે તેને મૃત જાહેર કર્યા હતા. આથી ભીલાડ પોલીસે આ મામલે હવે તપાસ હાથ ધરી છે.


પોલીસની પ્રાથમિક તપાસમાં હજુ સુધી આપઘાત કરવાનું કારણ જાણી શકાયું નથી કે, તેમના મૃતદેહ નજીકથી કોઇ સુસાઇડ નોટ પણ મળી આવી નથી. આથી એક પોલીસકર્મી પોતાના જ ઘરમાં ઝેરી દવા પી જીવનના અંત આણવાનો કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જેથી તેમના આપઘાતનું રહસ્ય ઘેરાયું છે. જો કે પરિસ્થિતિને ગંભીરતા જોતા પોલીસ વિભાગે આ મામલાને સંવેદનશીલતાથી લઈ, આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


જોકે અત્યારે તો આ એ.એસ.આઈ.ના આપઘાતની પાછળ કોઇ ફરજ પર કામનું ભારણ કે દબાણ કે ફરજની અન્ય કોઈ બાબતોને લઈને આપઘાત કર્યો છે? કે કોઈ પારિવારિક કારણે આપઘાત કર્યો છે? તે તમામ સવાલો અત્યારે ઉભા થઇ રહ્યા છે, ત્યારે આગામી સમયમા મૃતકના પરિવારજનો ના નિવેદન લઇ તેમની પૂછપરછ બાદ જ ખ્યાલ આવશે કે. આપઘાત કરવા પાછળનું કારણ શું હોઈ શકે? અત્યારે તો જિલ્લામાં એક પોલીસકર્મી એ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં, જીલ્લાના પોલીસ બેડામા ગમગીનીનો માહોલ છવાયો છે.