'મેં બસ રોકીને નીચે જોયું ત્યારે આગ શરૂ થઈ ગઈ હતી', સુરત સિટી બસમાં આગ, ડ્રાઈવરની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
સિગ્નલ પાસેથી મને બસમાં ધુમાડો દેખાતા સાઈડમાં લીધી હતી. મેં બસ રોકીને નીચે જોયું ત્યારે આગ શરૂ થઈ ગઈ હતી જોકે તરત જ સમયસૂચકતા વાપરી પેસેન્જરો બસમાંથી કૂદી પડ્યા હતા.


કિર્તેશ પટેલ,સુરતઃ શહેરમાં આજે બુધવારે સિટી બસમાં આગ લાગવાની ઘટના બની હતી. શહેરમાં આવેલી મહાવીર કોલેજ પાસે સિટી બસમાં (fire in city bus) આગ ફાટી નીકળી હતી. જોકે, બસના ડ્રાઈવરની (bus driver) સમયસૂચકતાથી 10 પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો (fire department) કાફલો દોડી ગયો હતો અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.


સુરતના ભગવાન મહાવીર કોલેજ રોડ પર સિટી લિંકની મુસાફર ભરેલી બસમાં અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જો કે બસ ચાલકની સુઝબુઝના કારણે તમામ મુસાફરો સુરક્ષિત છે. સિટીલીંકની સીએનજી સિટી બસ ભગવાન મહાવીર કોલેજ પાસેથી પસાર થઈ રહી હતી.


દરમિયાન બેટરીમાં અચાનક સ્પાર્ક થતા બસમાં આગ લાગી ગઈ હતી. જેથી ડ્રાઈવરે બસને ઉભી રાખી દીધી હતી અને બસમાં સવાર 10 મુસાફરોને ઉતારી દીધા હતા. જોકે, જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.


આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી.સિટી બસની આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર ફાઈટર અને ટેન્કર સાથે ઘસી ગયેલા ફાયર કાફલાએ ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, આગના કારણે બસ બળીને ખાખ થઈ ગઈ હતી.


ડ્રાઈવર બબન પાટીલે જણાવ્યું કે, સિગ્નલ પાસેથી મને બસમાં ધુમાડો દેખાતા સાઈડમાં લીધી હતી. મેં બસ રોકીને નીચે જોયું ત્યારે આગ શરૂ થઈ ગઈ હતી જોકે તરત જ સમયસૂચકતા વાપરી પેસેન્જરો બસમાંથી કૂદી પડ્યા હતા. જેથી કોઈ જાનહાનિ થઈ નહોતી.


પેસેન્જરો બસમાંથી ઉતર્યા બાદ મેં પહેલા ફાયર વિભાગને જાણ કરી દીધી હતી અને ટીમ પણ આવી પહોંચી હતી. જો કે પ્રાથમિક ધોરણે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.