જ્યારથી કોરોના શરૂ થયો છે ત્યારથી એક પરિવાર આખા રાજપીપલા શહેરમાં જ્યાં પણ જરૂર હોય ત્યાં પોતના જ વાહન મારફતે નિઃશુલ્ક ભોજન સેવા કરી રહ્યું છે. આ પરિવારની આ માનવીય લોક સેવા કાબિલે તારીફ કહી શકાય. રાજપીપળા સહિત જિલ્લામાં વધતા કોરોનાના કેસોમાં દર્દીઓ હોમ ક્વૉરન્ટીન થયા છે. તેવા 250 દર્દીઓને સવાર-સાંજનું ભોજન આ પરિવાર દ્વારા આપવામાં આવે છે.
આ પરિવારે વોટ્સએપમાં મેસેજ મોકલ્યો હતો. જેના થકી કોરોનાગ્રસ્ત પરિવારના લોકો ભોજન માટેના ઘણાના ફોન આવે છે. એ દરેકનું સરનામું લઇ આ પરિવાર જમવાનું પૂરું પાડે છે. જેમાં ગરમાગરમ દાળ ભાત શાક રોટલી કચુંબર જેવું શુદ્ધ સાત્વિક ભોજન પહોંચાડવામાં આવે છે. આ પરિવારને કોઈ આર્થિક મદદ મળે કે ના મળે પરંતુ આ સેવા ચાલુ રાખી છે.