નવસારી: નવસારીમાં પોલીસ (Navsari police) પર પથ્થરમારા (Stone pelting)ની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કાછોલી ગામ (Kachholi village) ખાતે કેરી (Mango) ચોરવા જેવી સામાન્ય બાબતમાં જૂથ અથડાણ થઈ હતી. બબાબ કરી રહેલા ટોળાને શાંત કરવા માટે પોલીસ પહોંચી હતી. જોકે, ટોળાએ પોલીસ પર જ હુમલો કરી દીધો હતો. ટોળાના પથ્થરમારામાં પીએસઆઈ, ડીવાયએસપી અને અન્ય પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસ પર પથ્થરમારાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે કાછોલી ગામ ખાતે કેરી ચોરવા બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જે બાદમાં લોકોના ઘરમાં તોડફોડ થઈ હતી. આ દરમિયાન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટોળાને વિખેરવા માટે પહોંચી હતી. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો થયો હતો.
પથ્થરમારામાં નાયબ જિલ્લા પોલીસ વડા એસ.જી.રાણા ઘાયલ થયા છે. એસ.જી. રાણા ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના વેવાઈ છે. પથ્થરમારો દરમિયાન બીલીમોરા પીએસઆઈ કૌશલ વસાવાને પણ ઈજા પહોંચી હતી. જે બાદમાં પોલીસ ટોળાને વિખેરવા માટે ટિયરગેસના સેલ છોડ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે નાયબ જિલ્લા પોલીસ વડાને પથ્થરમારા દરમિયાના માથામાં પથ્થર વાગ્યો છે. સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે ટોળું પોલીસ પર પથ્થરમારો કરી રહ્યું છે. બીજી તરફ પથ્થરમારાથી બચવા માટે પોલીસકર્મીઓ આમતેમ ભાગી રહ્યા છે. બનાવ બાદ હવે પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ આખી બબાલ ગામની એક વાડમાંથી કેરીની ચોરી કરવાને લઈને થઈ હતી. ચોરી બાદ ગામના બે જૂથ સામસામે આવી ગયા હતા. જોત જોતામાં બબાલ મોટી બની હતી. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગામ ખાતે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન ટોળાએ પોલીસ પર જ પથ્થરમારો કરી દીધો હતો.
પોલીસ પર પથ્થરમારો થયા બાદ પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા અને આખા વિસ્તારને ઘેરી લીધો હતો. જે બાદમાં પોલીસ આરોપીઓને ઓળખીને તેની ધરપકડ કરવા માટે રાત્રે જ કોમ્બિંગ હાથ ધર્યું હતું.