કેવડિયા: દેશ સહિત રાજ્યમાં કોરોના વાયરસ વકરે નહીં તે માટે ગાઇડલાઇન અપાઇ રહી છે. બીજી બાજુ ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું છે. જેના કારણે ગુજરાતીઓ રજાઓમાં ફરવાનાં મૂડમાં છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ કોવિડ માટેની ગાઇડલાઇન આપી દેવામાં આવી છે. આજથી એટલે 27મી ડિસેમ્બરથી કોરોના સંકટને પગલે નિયમ સાથે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. માસ્ક વગર કોઇપણ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં નહીં આવે.
આપને જણાવીએ કે, નાતાલની બે દિવસની રજાઓમાં એક લાખ કરતા પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મજા માણી હતી. જે બાદ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા સ્ટેચ્યૂ ખાતે આવતા પ્રવાસીઓએ માસ્ક ફરજિયાતની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ દ્વારા પ્રવાસીઓને જણાવવામાં આવ્યું, સોશિયલ મીડિયા થકી પ્રવાસીઓને માહિતી આપવામાં આવી રહી છે.
ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ સરકાર હવે એલર્ટ મોડ પર છે. ચીનની સ્થિતિ જોઈને ભારતમાં પણ કોરોનાનો ડર દેશમાં વધવા લાગ્યો છે. જોકે, નવા વર્ષને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે. જો તમે પણ નવા વર્ષમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. ગોવા, દિલ્હી, હિમાચલમાં પણ કોરોનાની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
દેશની રાજધાનીમાં કોરોનાને લઈને દિલ્હી સરકાર ઘણી સક્રિય દેખાઈ રહી છે. સોમવારે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કોવિડની સ્થિતિને લઈને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આમાં, તેમણે કોવિડને લગતી તૈયારીઓની પણ નોંધી લીધી હતી. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કોવિડની સ્થિતિ પર ઈમરજન્સી બેઠક યોજી હતી.