

દિપક પટેલ, નર્મદા : જીલ્લામાં મોટા ભાગે આદિવાસી વસ્તી છે અને ગઈકાલે જ આદિવાસીઓનો સહુથી મોટા ઉત્સવ સમાન હોળી દહનનાં કાર્યક્રમ બાદ આજથી પાંચ દિવસ સુધી આદિવાસી સમાજ ધૂળેટી પર્વ મનાવી રહ્યાં છે. આ ધૂળેટીનો તહેવાર મનાવવા આદિવાસીઓ પરંપરાગત આદિવાસી વસ્ત્રો ધારણ કરી ઘૈરૈયાનું રૂપ ધારણ કરી આદિવાસી નૃત્યમાં મસ્ત બનીને ફરે છે, ધૈર ઉઘરાવી સંતોષ માને છે.


એક પરંપરા મુજબ હોળી દહન પછીના પાંચ દિવસ સુધી માનતા કે બાધા રાખેલ આદિવાસી યુવાન ઘૈરૈયાનું રૂપ ધારણ કરી ફરે છે અને ઘરમાં જતો નથી. જયારે કેટલાક યુવાનો સ્ત્રી વેશ ધારણ કરીને પણ ફરે છે અને આદિવાસી પરંપરાગત નૃત્ય કરી આ ઉત્સવને ઉજવે છે.


આજે આ પરંપરા લુપ્ત થઇ રહી છે પરંતુ રાજપીપળાનાં બજારોમાં આજે આ ધૈર નૃત્ય જોવા મળ્યું હતું. આ જોવા માટે લોકોનાં ટોળા પણ આવ્યા હતા. વનવાસી વિસ્તરોમાં લુપ્ત થતી ઘેર પ્રથાને જીવંત રાખતા નર્મદાનાં ધમાલ ગ્રુપ આજે રાજપીપળામાં ધમાલ મચાવી અને આદિવાસીઓની પરંપરા સમાન ઘેર ઉઘરાવી એક અનોખું આકર્ષણ જમાવ્યું હતું.


તેમણે નાચ ગાન કરી દુકાનો પર ઘેર માંગી હતી. હોળીના ત્યોહારે આદિવાસીઓ માટે સૌથી મોટો ત્યોહાર છે. આ ત્યોહારને તેઓ પૂરી શ્રધ્ધા અને આસ્થાથી ઉજવે છે. પહેલા ઘેરની ઘણી બોલબાલા હતી. પરંતુ છેલ્લા 5થી 7 વર્ષથી આ ઘેર લુપ્ત થવા પામી છે. કારણકે સરકાર પરમીશન આપતી નથી.