દીપક પટેલ કેવડિયાથી : રાજ્યમાં કોરોનાવાયરસસના કેસ 500ની અદંર આવી ગયા છે. રાજ્ય સરકારે 11મી જૂનથી તમામ નિયંત્રણો હળવા કરી દીધા છે. એકબાજુ સંક્રમણ ઘટ્યું તો બીજી બાજુ ઘરોમાં કેદ થયેલા લોકો હવે પ્રકૃતિના સાનિધ્યમાં ઉમટી પડ્યા છે. રાજ્યના સૌથી મોટા પ્રવાસન હબ સ્ટેટ્યુ ઑફ યુનિટી ખાતે રવિવારે કોરોનાકાળના સવા વર્ષ દરમિયાન નોંધાયેલી પ્રવાસીઓની સંખ્યાના રેકોર્ડ તોડી નાખ્યા હતા. શનિ રવિની રજામાં આ સવા વર્ષ દરમિયાન સૌથી વધુ સંખ્યામાં પ્રવાસીઓ આવી પહોંચ્યા હતા.
કોરોનાની બીજી લહેરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું અને જેને હાલ 8 જૂનથી ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ત્યારે કોરોનાનું સંક્ર્મણ પણ રાજ્યમાં ઘટ્યું છે જેના કારણે છેલ્લા 4 મહિનાથી ઘરમાં રહેલા લોકો હવે પ્રવાસન સ્થળો પર આવી રહ્યા છે અને ખાસ હાલ કેવડિયા કોલોની ખાતે બનેલા વિશ્વસના સૌથી ઊંચા સ્ટેચ્યુ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે ગત શનિવાર અને રવિવારમાં છેલ્લા દોઢ વર્ષ માં પહેલી વાર 7 હજાર કરતા વધુ પ્રવાસીઓ આવ્યા હતા.
બીજી બાજુ આ વર્ષે ચોમાસુ સારું અને વહેલું છે ત્યારે નર્મદા બંધને આગામી ચોમાસાની ઋતુમાં મહત્તમ સપાટીએ ભરવા નર્મદા નિગમ સજ્જ બન્યું છે. ત્યારે હજુ નર્મદા ડેમ 50 ટકા ભરેલો છે એટલે પાણી ખાલી થાય અને વીજળી વધુમાં વધુ ઉત્પાદન કરી શકે એ માટે રિવરબેડ પાવરહાઉસના 5 ટર્બાઇન હાલ ધમધમી રહ્યા છે અને 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.