રાજપીપલા: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે 23મી ઓગસ્ટે મંગળવારના રોજ બપોરે 3 કલાકે 135.78 મીટરે નોંધાયેલ છે. ઉપરવાસમા ભારે વરસાદને કારણે ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે આજે સવારે 10 કલાકે નર્મદા ડેમના 23 દરવાજાને 3.05 મીટરની ઉંચાઇ સુધીના ખોલીને નર્મદા ડેમમાંથી આજે હાલમાં આશરે સરેરાશ 5 (પાંચ) લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. અને આ લેવલે ડેમના જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 8,599.30 મિલીયન ક્યુબીક મીટર (MCM) જથ્થો નોંધાયેલ છે અને આજે સવારે 10 કલાકે ડેમની જળ સપાટી 135.95 મીટરે નોંધાઇ હતી. આજની સ્થિતીએ નર્મદા ડેમમાં પાણીનો 91 ટકા જથ્થો ભરાયેલ છે. આશરે છેલ્લા 34 દિવસથી દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા 34 દિવસમાં આશરે કુલ રૂપિયા 161.76 કરોડની કિંમતનું વીજ ઉત્પાદન થયેલ હોવાની જાણકારી પણ સરદાર સરોવર-નર્મદા ડેમ વિભાગ તરફથી પ્રાપ્ત થઇ છે.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે 22મી ઓગસ્ટે સોમવારના રોજ નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની જાવક માટે ખુલ્લા રખાયેલા 10 દરવાજાની સંખ્યામાં બપોરે 12 કલાકે વધારો કરીને 15 દરવાજા 2.35 મીટરની ઉંચાઇ સુધીના ખોલીને સરેરાશ આશરે 2.25 લાખ ક્યુસેક પાણીની આવક (ઇન્ફ્લો) સામે 2.50 લાખ ક્યુસેક પાણીની જાવક (આઉટફ્લો) કરવામાં આવી હતી. તદઉપરાંત ભૂગર્ભ વિદ્યુત જળ મથક દ્વારા વીજ ઉત્પાદન બાદ 45 હજાર ક્યુસેક પાણી સહિત કુલ 2.95 લાખ પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઇ રહ્યો હતો. ગઇકાલે બપોરે 12 કલાકે નર્મદા ડેમની જળ સપાટી 136.04 મીટરે નોંધાઇ હતી.
ત્યારબાદ પણ ઉપરવાસમાં ભારે વરસાદ અને ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક સતત વધવાને કારણોસર ગઇકાલે સાંજે 5 કલાકે પુન: ડેમના 23 દરવાજા 2.15 મીટરની ઉંચાઇ સુધી ખોલીને નર્મદા ડેમમાં સરેરાશ અંદાજે 3.13 લાખ ક્યુસેક પાણીની આવક (ઇન્ફ્લો)ની સામે 3.50 લાખ ક્યુસેક પાણીની જાવક (આઉટફ્લો) કરાયો હતો અને ભૂગર્ભ જળ વિદ્યુત મથકમાંથી 45 હજાર ક્યુસેક પાણી સહિત કુલ સરેરાશ આશરે 3.95 લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો હતો. ગઇકાલે સાંજે 5 કલાકે નર્મદા ડેમની જળ સપાટી 135.98 મીટરે નોંધાઇ હતી.
આશરે છેલ્લા 34 દિવસથી સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસના તમામ 6 યુનિટ મારફત વીજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વીજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119 મીટરે નોંધાયેલ હતી. હાલમાં છેલ્લા 34 દિવસથી રિવરબેડ હાઉસના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 24 કલાક સતત કાર્યરત સાથે ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂ. 4 કરોડની કિંમતનું 20 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આમ આજદિન સહિત 34 દિવસથી આશરે કુલ રૂ. 150 કરોડનું વિજ ઉત્પાદન કરાયું છે. આ વીજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
તેવી જ રીતે 50 મેગાવોટની ક્ષમતાવાળા 4 કેનાલ હેડ પાવર હાઉસ 12મી ઓગષ્ટથી સતત કાર્યરત છે અને આજે 23મી ઓગષ્ટની સ્થિતિએ હાલમાં સરેરાશ રૂ. 98 લાખની કિંમતનું 4.8 મિલીયન યુનિટ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. અને દૈનિક સરેરાશ 17 હજાર ક્યુસેક પાણી વીજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે. આમ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા 12 દિવસમાં આશરે કુલ રૂ. 11.76 કરોડની કિંમતનું વીજ ઉત્પાદન કરાયું છે, તેવી જાણકારી પણ પ્રાપ્ત થઇ છે.