

આજે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળ્યાં છે. વહેલી સવારે મંગળા આરતીમાં મુખ્ય અતિથિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આરતી કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીએ પહિંદ વિધી કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે. જે બાદ ભગવાનનાં 3 રથ નગરચર્યાએ નીકળ્યાં છે.


અમદાવાદની રથયાત્રામાં છેલ્લા 26 વર્ષથી રથયાત્રાનો પ્રારંભ પહેલા પહિંદવિધિ કરવામાં આવે છે. તેમાં રાજ્યનાં સીએમ સોનાની સાવરણીથી રથયાત્રાનો રસ્તો સાફ કરે છે. ત્યારબાદ મુખ્યપ્રધાન રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.


આ વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી 'છેરા પહેરા' વિધિ પરથી કરવામાં આવે છે. માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે. તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે.


રાજ્યના મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેદ્ર મોદી અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિન્દ વિધિ કરવાની તક મળી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેદ્ર મોદીએ રથયાત્રામાં સૌથી વધુ 12 વખત પહિંદવિધિ કરી છે. કેશુભાઈ પટેલે પણ 5 વખત પહિંદ વિધિ કરી છે. રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે બેવાર પહિંદ વિધિ કરી છે.