આ સમગ્ર મામલે ડીસીપી ક્રાઈમ પાર્થ રાજ સિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી જણાવવામાં આવ્યું હતું કે, નિકુંજ ભાલોડીયા (ઉવ.35), વિશાલ ગઢીયા (ઉવ.45) અને વિશાલ બુધ્ધદેવ (ઉવ.39) આ તમામ આરોપીઓ નકલી ચલણી નોટના ધંધા સાથે સંકળાયેલા છે. મળતી માહિતી મુજબ, નિકુંજ ભાલોડીયા પર દેવું થઈ જતા તેને દેવું ઉતારવા માટે નકલી ચલણી નોટ બનાવવાનો વિચાર કર્યો હતો. જેના માટે તેણે જુદી-જુદી વેબસાઈટ પરથી નકલી ચલણી નોટ કઈ રીતે બનાવી શકાય તે બાબતનું જ્ઞાન મેળવ્યું હતું. નિકુંજ ભાલોડિયા અગાઉ ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલો હતો. તેમજ પોતાના માતા-પિતાનો એકનો એક દીકરો હોવા છતાં તેના ચાલચલનના કારણે તે પોતાના માતા-પિતાથી અલગ પોતાની પત્ની સાથે મોરબી રોડ પર આવેલા અમૃત પાર્કમાં રહેતો હતો.
રાજકોટ ડીસીબી પીઆઈ યુવરાજ સિંહ જાડેજા અને એલસીબી ઝોન 2ના કર્મીઓને બાતમી મળી હતી કે, રાજકોટ શહેરમાં જુદી-જુદી જગ્યાએ નકલી ચલણી નોટનો ધંધો થઈ રહ્યો છે, ત્યારે રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં નીરા નામની ડેરી ( દૂધ પાર્લર ) ચલાવનારા વિશાલ ગઢીયાને ત્યાંથી તેમજ વિશાલ બુદ્ધદેવ પાસેથી રૂપિયા બે લાખની કિંમતની નકલી ચલણી નોટ મળી આવી હતી. જે નકલી ચલણી નોટ તેમણે રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા નિકુંજ ભાલોડીયા પાસેથી મેળવી હોવાનું જણાવ્યું હતું. નિકુંજ તેમની પાસેથી ₹35,000ની અસલી ચલણી નોટ મેળવી તેમને એક લાખ રૂપિયાની નકલી ચલણી નોટ આપતો હતો. પોલીસની તપાસમાં નિકુંજ છેલ્લા ત્રણ મહિનાથી આ પ્રકારે નકલી ચલણી નોટના ધંધા સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિશાલ ગઢીયાએ જણાવ્યું છે કે, પોતે દૂધ પાર્લર ચલાવતો હોવાથી પોતાને ત્યાં ખરીદી કરવા આવનાર ગ્રાહકો તેમજ પોતે જે દૂધ વિક્રેતાઓ પાસેથી દૂધ ખરીદ કરે છે તે લોકોને અન્ય અસલી નોટ સાથે નકલી ચલણી નોટ ધાબડી દેવાનો પ્લાન તેને બનાવ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, નિકુંજ ભાલોડીયા દ્વારા જે નકલી ચલણી નોટ બનાવવામાં આવી હતી. તે નકલી ચલણી નોટ ન કાગળની ગુણવત્તા ખૂબ જ હલકી હતી. જેના કારણે નોટ પર પ્રિન્ટિંગ સમયે જે કલર લગાડવામાં આવ્યું હતું તે કલર ઉનાળાના કારણે હાથના પરસેવાના કારણે કલર હાથમાં બેસી જતો હતો. નિકુંજ દ્વારા સ્કેનર પ્રિન્ટર તેમજ ફોટોશોપની મદદથી નકલી ચલણી નોટ બનાવવામાં આવી હતી. અત્યારે પોલીસ દ્વારા કોમ્પ્યુટર સિસ્ટમ, ત્રણ મોબાઈલ ફોન, સ્કેનર, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મુખ્ય આરોપી નિકુંજ ભાલોડીયા અને તેની પત્ની વચ્ચે નકલી ચલણી નોટ મામલે બોલાચાલી થઈ હતી. નિકુંજની પત્ની નહોતી કે નિકુંજ આ પ્રકારે ગેરકાનૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો રહે. બે દિવસ પૂર્વે પતિ-પત્ની વચ્ચે નકલી ચલણી નોટ બાબતે ઝઘડો પણ થયો હતો. તે સમયે તેણી ઘરમાં રહેલી નકલી ચલણી નોટ સળગાવી પણ નાખવાની હતી. પરંતુ કોઈ કારણોસર તે નકલી ચલણની નોટ સળગાવી નહોતી શકી, જેના કારણે ઘરમાં પડેલી નોટ પોલીસને હાથે લાગી છે.