મુનાફ બકાલી, જેતપુરઃ ધોરાજી પંથકના ખેડૂતોને જણસીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોએ સમાધિ કાર્યક્રમ યોજી ઈચ્છા મૃત્યુની માગ કરી છે. ઘંઉ, કપાસ, સોયાબિન, મગફળી તથા અન્ય પાકના ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત છે. સૂત્રોચ્ચાર કરી ખેડૂતોએ સરકાર પાસે પોષણક્ષમ ભાવની માગ કરી છે. પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે સમાધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવી ઈચ્છા મૃત્યુની માગ કરી છે.
હાલ ગુજરાતમાં ખેડૂતોની દયનીય હાલત થઈ ગઈ છે, એક તરફ તેમને પોતાનો પાકનો પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો તો બીજી તરફ કમોસમી વરસાદે પણ ખેડૂતોને પરેશાન કર્યા છે. ખેડૂતોને પોતાના પાકનો પોષણક્ષમ ભાવ ના મળતા હવે તેમણે શું કરવું તેની ચિંતા તેમને સતાવી રહી છે. ઘઉં, કપાસ, સોયાબીન, મગફળી તથા અન્ય પાકોના ભાવોન મળતા ખેડૂતો ચિંતિત પણ થયા છે અને ખેડૂતોમા રોષ ભભૂકી રહ્યો છે. માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો પોતાના પાકના પુરતા ભાવ મળી રહ્યા નથી.
એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહી છે પરંતુ બીજી તરફ ધોરાજી પંથકના ખેડૂતોએ ખેતરમાં જ ખાડો ખોદીને સમાધિનો કાર્યક્રમ કર્યો છે. પોતાની માંગ ઝડપથી ગાંધીનગર સુધી પહોંચે તે માટે ખેડૂતોએ અનોખો માર્ગ અપનાવ્યો છે. ખેડૂતોએ સરકાર પોતાની વાત માને અથવા તેઓની ઈચ્છા મૃત્યુની માંગ પૂર્ણ કરે તે માટે સુત્રોચ્ચાર કરીને પોતાની વાત રજૂ કરી હતી.
રાજકોટના જસદણમાં માવઠાના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. જસદણમાં નુકસાનનો સર્વે કરવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ રાખેલો માલ પલળી ગયો છે. જેમાં ઘઉં, જીરુ, એરંડા સહિતના પાકનો સમાવેશ થાય છે. માર્કેટિંગ યાર્ડમાં પલળી ગયેલા માલનો પણ સર્વે કરવામાં આવ્યો છે. જસદણમાં વરસાદ થતા યાર્ડમાં મૂકેલો માલ તરતો પણ જોવા મળ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, બીજી તરફ એ પણ મુદ્દો ઉઠી રહ્યો છે કે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેમ છતાં યાર્ડમાં ખુલ્લામાં માલ મૂકવામાં આવ્યો હતો.