રાજકોટ : રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન (Rajkot District Collector) તરફથી એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે રાજકોટમાં દર વર્ષે યોજાતા જન્માષ્ટમી (Janmashtami Lok Melo)ના પ્રસિદ્ધ લોકમેળા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ સાથે જ રાજકોટમાં યોજાતા અન્ય ખાનગી મેળા (Private Fair)ઓ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કોરોના વાયરસ (Coronavirus)ના વધી રહેલા કેસને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મેળામાં એક જગ્યાએ વધારે લોકો એકઠા થતાં હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) જાળવી શકાતું નથી. આ સાથે જ મેળામાં કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ આવે તો તેનાથી અનેક લોકોને ચેપ પ્રસરી શકે છે. આથી કલેક્ટર તરફથી આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)
સૌરાષ્ટ્રના લોકો દર વર્ષે શ્રાવણ મહિનાની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે શ્રાવણ મહિનો એટલે મેળાઓનો તહેવાર. તેમાં પણ ખાસ કરીને રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે યોજાતો લોકમેળો સૌરાષ્ટ્રનો ખૂબ જ લોકપ્રીય મેળો છે. પાંચ દિવસ સુધી યોજાતા આ મેળામાં આશરે 10 લાખ લોકો આવતા હોય છે. સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ અન્ય વિસ્તારોમાંથી પણ લોકો આ મેળાનો લાભ લેવા માટે આવતા હોય છે. (પ્રતિકાત્મક તસવીર)
ગત વર્ષે રાજકોટ ખાતે લોકમેળા તેમજ ખાનગી સહિત અલગ અલગ 18 જેટલા મેળાઓનું આયોજન થયું હતું. લોકમેળા ઉપરાંત આ વખતે ખાનગી મેળા પણ નહીં યોજી શકાય. આ ઉપરાંત કલેક્ટરના આદેશ પ્રમાણે જન્માષ્ટમીના તહેવાર પ્રસંગે કોઈ જાહેર કાર્યક્રમનું પણ આયોજન નહીં કરી શકાય. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે મેળાવડા પર પ્રતિબંધ હોવાથી આ આદેશ કરવામાં આવ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)
રાજકોટ ખાતે યોજાતા મેળામાં ફક્ત રાજકોટ શહેર જ નહીં પરંતુ રાજકોટ ગ્રામ્ય, પોરબંદર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, ગીર-સોમનાથ સહિતના જિલ્લાઓમાંથી લોકો આવતા હોય છે. સામાન્ય રીતે મેળાઓમાં એવું જોવા મળે છે દિવસ દરમિયાન શહેર બહારના લોકો આવતા હોય છે, જ્યારે રાત્રીના સમયે રાજકોટ શહેરના લોકો મેળાની મુલાકાત લેતા હોય છે. મેળામાં જુદી જુદી રાઇડની સાથે સાથે લોકોના મનોરંજન માટે ડાયરા, ડાન્સ વગેરેનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. (પ્રતિકાત્મક તસવીર)