અંકિત પોપટ, રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં કોરોના મહામારી (Corona pandemic)નો વ્યાપ વધતો જઈ રહ્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા લોકોની મદદે આવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં તંત્ર ક્યાંક વામણું સાબિત થઇ રહ્યું છે અને તેના જ કારણે સામાજિક સંસ્થા (Social organizations)ઓ આ લડાઈમાં આગળ આવી છે. ત્રીજી મે, 2021 મંગળવારના રોજથી રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ (University road-Rajkot) ઉપર આવેલી એસ.એન.કે સ્કૂલ (SNK School)માં બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટર (Covid care center)માં દર્દીઓને દાખલ કરવામાં આવશે. રાજકોટ શહેર અને જિલ્લામાં બની ચૂકેલા કોવિડ કેર સેન્ટરને ટક્કર મારે તે પ્રકારનું કોવિડ સેન્ટર એસ એન કે સ્કૂલ ખાતે બનાવવામાં આવ્યું છે.
દર્દીને કઈ રીતે દાખલ કરી શકાશે?: કોવિડ કેર સેન્ટરની શરૂઆત 50 બેડથી કરવામાં આવશે. દાખલ થનાર દર્દીને સેન્ટર ખાતે સીધા લાવી નહીં શકાય. તે માટે દર્દી અથવા તો તેમના પરિવારજનોએ સેન્ટરના નંબર 63588 45684 પર કૉલ કરવાનો રહેશે. એડમિશન માટેની ફોન લાઈન રોજ સવારે સવારે 8 વાગ્યે શરૂ થશે. સેન્ટરમાં ફોન પર હાજર વ્યક્તિ જે તે દિવસની જેટલા બેડની કેપેસિટી હશે તેટલા જ કૉલ એટેન્ડ કરશે. જો આપ ફોન કરો ત્યારે રેકોર્ડિંગ સાંભળવા મળે તો દર્દી અથવા તેમના પરિજનોએ માનવું કે બેડ ફૂલ થઇ ચૂક્યા છે. જે માટે તેઓ ફરી બીજા દિવસે સવારે આઠ વાગ્યે એડમિશન ફોન લાઈન શરૂ થાય ત્યારે પ્રયત્ન કરી શકે છે. સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અહીં કોઈ પણ જાતનું વેઇટીંગ લીસ્ટ રાખવામાં આવશે નહીં. રોજે રોજ તમામ લોકોને સારવાર કરાવવા માટે ચાન્સ આપવામાં આવશે. સેન્ટર દ્વારા એડમિશન પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવશે.
TGESના ડાયરેકટર કિરણ ભાલોડિયાએ જણાવ્યું છે કે, હાલના તબક્કે 50 બેડથી શરૂઆત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં રિસોર્સ, મંજૂરી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખતા 500 બેડ સુધીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અહીં ઓક્સિજન બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જ્યારે આઇસીયૂની વ્યવસ્થા હાલ ઉપલબ્ધ નથી. સેન્ટરની તમામ સારવાર અને મેડિકલને લગતી બાબતો માટે HCG ગ્રુપ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. દાખલ થનાર દર્દીને રહેવા, જમવા તેમજ દવા બાબતે એક પણ રૂપિયો તેમણે અથવા તો તેમના પરિવારજનોએ ચૂકવવાનો રહેશે નહીં.
ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેને જોતા રાજકોટ શહેરના TGES ગ્રુપના ડાયરેક્ટ કિરણભાઈ ભાલોડિયા, બીએપીએસના અપૂર્વમુની સ્વામી, રાજકોટ બિલ્ડર એસોસિએશન ના પ્રમુખ પરેશભાઇ ગજેરા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ રમેશભાઇ ટીલાળા, જ્યોતિ સી.એન.સી કંપનીના માલિક પરાક્રમસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ એક સાથે એક પ્લેટફોર્મ પર આવીને રાજકોટ શહેરમાં એવા પ્રકારનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે.