અંકિત પોપટ, રાજકોટ: હાલ રાજકોટ રાજ્યના ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણ વધવાને કારણે રાત્રિ કર્ફ્યૂ (Night curfew) લાદવામાં આવ્યો છે. આ દરમિયાન બહાર નીકળતા લોકો સામે પોલીસ (Rajkot police) કડક હાથે કાર્યવાહી કરી રહી છે. ત્યારે રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બહાર નીકળનારા ભાજપના પૂર્વ કોર્પોરેટર (BJP ex councillor Sanjay Dhava)ને પાંચ કારતૂસ અને દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી પાડ્યા છે. આ મામલે પોલીસે પૂર્વ કોર્પોરેટર સમક્ષ ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે. પૂર્વ કોર્પોરેટર સંજય ધવા વર્ષ 2010માં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ (BJP)ના નિશાન પર ચૂંટાયા હતા.
સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ. ચાવડાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ રાજકોટ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ છે. આ સમયે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશ અનુસાર રાત્રિના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે બી ડિવિઝન પોલીસ રાજમાર્ગો પર ફરજ બજાવતી હોઈ છે. આ સમયે પ્રદ્યુમનનગર પોલીસનો સ્ટાફ રાત્રિ કર્ફ્યૂ દરમિયાન પેટ્રોલિંગમાં હતો ત્યારે એરપોર્ટ ફાટક પાસેથી ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ધવા પોતાની કાર લઈને નીકળતા પોલીસ તેમની કાર અટકાવી હતી. રાત્રિ કર્ફ્યૂ હોવાથી પોલીસે તેમને બહાર નીકળવાનું કારણ પૂછ્યું હતું અને કારની તલાશી લીધી હતી.
તલાશી દરમિયાન તેમના કારના ડેસ બોર્ડના ખાનામાંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. સાથે જ કારતૂસ નંગ 5 મળી આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)–એ તથા આઇ.પી.સી. કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ પૂર્વ કોર્પોરેટર પાસે રહેલી કાર, ગેરકાયદેસર હથિયાર તેમજ કારતૂસ કબજે કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત 10 તારીખના રોજ પણ બી ડિવિઝન પોલીસે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન એક્ટિવા લઈને નીકળેલા ત્રણ યુવાનોને ગેર કાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછમાં તેમની પાસે રહેલું હથિયાર સુરેન્દ્રનગર જિલ્લાના દેવાભાઇ રબારીનું હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટાફનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
સંજય ધવા વર્ષ 2010માં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના નિશાન પર ચૂંટાયા હતા. વર્ષ 2010થી 2015 દરમિયાન વોર્ડ નંબર 23નાં કોર્પોરેટર તરીકે તેઓ રહ્યા હતા. જે બાદમાં વર્ષ 2015ની ચૂંટણી પહેલાં સિમાંકન ફરતા વોર્ડ નંબર 23નો કેટલોક ભાગ વોર્ડ નંબર 17માં ભેળવવામાં આવ્યો હતા, જ્યારે કેટલોક ભાગ વોર્ડ નંબર 18માં ભેળવવામાં આવ્યો છે.