પોરબંદર : રાજ્યની (Gujarat Monsoon) સાથે પોરબંદર જિલ્લામાં (Porbandar rain) પણ આ વખતે ચોમાસામાં સારો વરસાદ થયો છે. ત્યારે રાણાવાવના વાળોત્રા ગામના બે યુવાનો તણાયાની ગમખ્વાર ઘટના બની છે. મીણાસર નદી પરના કોઝવે પરથી યુવાનો પાણીમાં તણાયા છે. આ બંને યુવાનો બાઇક લઇને ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન જ તેઓ બાઇક સાથે ધસમસતા પ્રવાહમાં ગરકાવ થઇ ગયા હતા. હાલ તંત્ર દ્વારા બે યુવાનોને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી મળતી માહિતી પ્રમાણે, રાણાવાવના વાળોત્રા ગામના બે યુવાનો મીણાસર નદી પરના કોઝ વે પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે જ પાણીના ધસમસતા પ્રવાહમાં બંને યુવાનો બાઇક સાથે તણાઇ ગયા હતા. જે બાદ તંત્ર દ્વારા યુવાનોને શોધવાની તજવીજ હાથ ધરાઇ છે. આ પહેલા પણ કોઝવેના ધસમસતા પ્રવાહમાં લોકો અને પ્રાણીઓ તણાયાની અનેક ઘટના સામે આવી છે. તે છતાં પણ લોકો આ પ્રવાહમાં બેદરકારીપૂર્વક જઇ રહ્યા છે.
નોંધનીય છે કે, પોરબંદરના બરડા ડુંગરમાં આવેલા કિલેશ્વરના મંદિરના રસ્તે પાણી ભરાઇ જતા શ્રાવણ મહિનામાં મંદિરના દર્શન બંધ કરવા પડયા છે તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 2થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે. પોરબંદર અને જામનગર જિલ્લામાં આવેલા બરડા ડુંગરમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. બરડા ડુંગરમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે.
પાણીને લીધે બરડા ડુંગરમાં આવેલું ઐતિહાસિક અને પૌરાણિક કિલેશ્વર મહાદેવના મંદિર તરફ જતા કાચા રોડ પર આજે પાણી ભરાઇ જતા વન વિભાગને શ્રાવણ મહિનામાં કિલેશ્વર મંદિરના દર્શન બંધ કરવા પડયા છે તો બીજી તરફ સમગ્ર જિલ્લામાં વરસી રહેલા વરસાદને લીધે ગઇકાલે રાત્રીના 8 વાગ્યાથી આજે સાંજે આ લખાઇ રહ્યું છે ત્યારે 4 વાગ્યા સુધીમાં પોરબંદર તાલુકામાં 46 મીમી, રાણાવાવ તાલુકામાં 44 મીમી અને કુતિયાણા તાલુકામા 85 મીમી વરસાદ વરસી ગયો છે.