પોરબંદરના શહેરીજનો માટે આસ્થાનુ સ્થાન ગણાતા 190 વર્ષ જુના મહાલક્ષ્મીજીના મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીના દિવસે લાખો રુપિયાની ચલણી નોટોના શોભા દર્શનનુ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 21 લાખની 1 રુપીયાથી લઈને 2 હજાર સુધીની ચલણી નોટોના શણગારનુ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં શહેરીજનો મહાલક્ષ્મીના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા.
હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનુ અનેરુ મહત્વ રહેલુ છે.દિવાળીના દિવસે મહાલક્ષ્મીજીની પૂજા અર્ચના કરવાનુ મોટુ મહત્વ રહેલુ છે. ત્યારે પોરબંદરના એકમાત્ર એમજી રોડ પર આવેલ 190 વર્ષ જુના મહાલક્ષ્મીજીના મંદિરે દિવાળીના પર્વે પર ભક્તોનુ ઘોડાપુર ઉમટી પડે છે. આ મંદિરના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી વિવધ ચલણી નોટોના શોભાદર્શનનું આયોજન કરવામાં આવે છે.
મંદિર દ્વારા ચલણી નોટોના શોભા દર્શનમાં આ વર્ષે 21 લાખની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે રુપિયા 1થી લઈને 2 હજાર સુધીની નોટો તેમજ ભારતીય ચલણમાં સમાવેશ તમામ સીકાઓનો પણ આ શણગારમાં ઉપયોગમાં લેવામાં આવ્યો છે. તો સાથે જ મહાલક્ષ્મીજીના દર્શને આવતી સૌભાગ્યવતી સ્ત્રીઓને પ્રસાદીરુપે કંકુની ડબીઓ આપવામાં આવે છે.
પોરબંદરના આ મહાલક્ષ્મી માતાજીના મંદિરે આજે મોડી રાત્રી સુધી મોટી સંખ્યાં ભાવિક ભક્તો આ ચલણી નોટોના શોભાદર્શનનો લ્હાવો લેશે. દિવાળીના તહેવારમાં પોરબંદરવાસીઓને મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે અનોખા ચલણી નોટોના અદભૂત દર્શન કરાવવામાં આવી રહ્યા છે તેને અહીં આવતા ભાવિકો પણ દર્શન મંદિર ટ્રસ્ટની મહેનતને બિરદાવતા જોવા મળી રહ્યા છે. ( પ્રતીશ શીલુ - પોરબંદર)