બનાસકાંઠામાં પ્રગતિશીલ ખેડૂત: કનવરજી ઠાકોરે આ પદ્ધતીથી ખેતી કરી મબલખ પાક ઉતારી તગડો નફો કર્યો
કનવરજી ઠાકોરે રવિ સીજનમાં બટાટાની ખેતીના વિકલ્પ તરીકે 2012થી ચોળીનું વાવેતર શરૂ કયું હતું. કનવરજીએ રવિ સીજનમાં ચોળીનું સફળ વાવેતર કરી મબલક પાક મેળવતા હવે રવિ સીજનમાં ચોળીનો પાક બટાટાની ખેતીનો મજબૂત વિકલ્પ સાબિત થયો છે.


આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : જિલ્લો ભલે પછાત જિલ્લો રહ્યો હોય પરંતુ આ જિલ્લાના ખેડૂતો પછાત નથી. જેમાં ડીસામા એક પ્રગતિશીલ ખેડૂતે બીબાઢાળ પદ્ધતિ ને બદલી ઈનોવેટિવ આઈડિયાથી ખેતી કરી સફળતા મેળવતા ગુજરાતનાં શ્રેષ્ઠ ખેડૂત તરીકે સન્માનીત કરવામાં આવ્યા છે, અને આ સફળ ખેડૂતોની ખેતી જોઇ અન્ય ખેડૂતો પણ તેમાંથી પ્રેરણા મેળવી રહ્યા છે.


ડીસા તાલુકાનાં રાણપુર ગામના કનવરજી ઠાકોર, જે એક પ્રગતિશીલ ખેડૂત છે અને ખેતીમાં હંમેશા અલગ અલગ પ્રયોગો કરીને સફળ ખેતી કરી રહ્યા છે. કનવરજી ઠાકોરે તેમના ખેતરમાં અત્યારસુધીમાં અનેક સફળ પ્રયોગ કર્યા છે અને આ પ્રયોગોની નોંધ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ લેવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કનવરજી ઠાકોરની ખેત પધ્ધતિ વિષે ખેતીનો અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓને પણ અનેક વાર સમજાવવામાં આવે છે અને તેમના ખેતરની મુલાકાત લેવડાવવામાં આવે છે.


કનવરજી ઠાકોરે આવો જ એક પ્રયોગ ચોળીની ખેતીમાં કર્યો હતો. આમતો ચોળીની ખેતી ચોમાસામાં થતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રવિ સીજનમાં બટાટાની ખેતીમાં ખેડૂતોને મોટું નુકશાન થતું હોવાના લીધે કનવરજી ઠાકોરે રવિ સીજનમાં બટાટાની ખેતીના વિકલ્પ તરીકે 2012થી ચોળીનું વાવેતર શરૂ કયું હતું. કનવરજીએ રવિ સીજનમાં ચોળીનું સફળ વાવેતર કરી મબલક પાક મેળવતા હવે રવિ સીજનમાં ચોળીનો પાક બટાટાની ખેતીનો મજબૂત વિકલ્પ સાબિત થયો છે. જેને લઈ કનવરજી ઠાકોરને ગુજરાતના શ્રેષ્ઠ 4 ખેડૂતોમાં તેમની પસંદગી કરવમાં આવી હતી અને અને પીપીજી ગ્રુપ દવારા તેમને આણંદ ખાતે યોજાયેલ સેમિનાર માં શિલ્ડ અને સર્ટી આપી નવાજવામાં આવ્યા છે.


કનવરજી ઠાકોરે કહ્યું કે, સામાન્ય કરતા અલગ ખેતી કરી સફળતા મેળવતા મને એવોર્ડ મળ્યો છે, ખુબજ ખુશ છું, ખેડૂતો આંદોલન કરવાના બદલે ખેતીમાં મજૂરી કરવી જોઈએ તો ચોક્કસ સફળતા મળે. અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરી વધુ ઉત્પાદન મેળવું છું. જેવો અન્ન ખાય તેવા વિચાર આવે તે માટે ખેતરમાં સ્વચ્છતા રાખીએ છીએ. છેલ્લા સાત વર્ષથી આ કનવરજી ઠાકોર તેમની બીબાઢાળ ખેતીની પદ્ધતિમાંથી આધુનિકતા તરફ વળ્યાં છે. તેઓ દર વર્ષે તેમના ખેતરમાં અલગ-અલગ ઇનોવેટિવ આઈડિયા થકી ખેતીમાં સુધારા વધારા કરે છે. અત્યારે તેઓ શિયાળામાં ચોળીના પાકમાં સફળતા મેળવ્યા બાદ અત્યારે તેઓ એક સાથે ૩ થી ૪ ક્રોપ વાવી રહ્યા છે જેથી તેમને એક જ સીઝનમાં ડબલ અને ત્રણ ગણો નફો મળે છે, સાથે સાથે ટેકનોલોજીનો પણ તેઓ ભરપૂર ઉપયોગ કરે છે કનવરજી ઠાકોર ગ્રોકવર, મલચિંગ અને ટપક પદ્ધતિ દ્વારા જ તેમની ખેતીમાં મબલખ ઉત્પાદન મેળવી તગડો નફો મેળવી રહ્યા છે. તેમના ઇનોવેટિવ આઈડિયાથી પ્રભાવિત થઈ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ તેઓને પ્રથમ ખેડૂત તરીકેનું સ્થાન મળ્યું છે. આ સિવાય અત્યાર સુધી તેમને બેસ્ટ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ, બેસ્ટ ઇનોવેટિવ પીપીએજી અને જિલ્લા કક્ષાએ આત્મા અંતર્ગત પણ તેમને બેસ્ટ ફાર્મર પણ એવોર્ડ મળ્યા છે. એટલું જ નહીં પરંતુ એક ખાનગી કંપની દ્વારા તેઓને ચોળી માટેનાં એમ્બેસેડર પણ બનાવવામાં આવે છે.


કનવરજી ઠાકોર ભલે ટેકનોલોજીનો ઉપયોગ કરી આધુનિક ખેતી કરતા હોય પરંતુ તેઓ આજે પણ તેઓ પરંપરાને ભૂલ્યા નથી દર વર્ષે અષાઢી બીજના દિવસે તેઓ પોતાના પરિવાર સાથે ધરતીમાતાનું પૂજન કરી, ખેતીના જે ઓજારો હોય તેનું પણ પૂજન કરી નવા વર્ષ માં ખેતીની શરૂઆત કરે છે. ખેતરમાં પણ તેઓ લોકો સુધી સ્વચ્છ અને ચોખ્ખું અન્ન પહોંચે તે માટે પણ એટલી જ કાળજી રાખે છે તેમના ખેતરમાં આજે પણ વિવિધ સૂચનાઓ ના બોર્ડ લાગેલા છે. ખેતરમાં પાન બીડી પીવી નહીં, ગુટખા ખાઇને ખેતરમાં થુંકવું નહીં જેવા અનેક સુવિચારો વાળા બોર્ડ લગાવી અને લોકો સુધી સ્વચ્છ અન્ન પહોંચે અને લોકો પણ સારું ખાઈને સારું વિચારે તેવો તેમનો પ્રયાસ રહે છે.


અત્યારે સામાન્ય નુકસાન થાય તો પણ ખેડૂતો સરકાર સામે સહાય ની માંગ કરતા હોય છે ત્યારે કનવરજી ઠાકોર જેવા પ્રગતિશીલ ખેડૂતો પરંપરા ટેકનોલોજી અને ઇનોવેટિવ આઇડિયા થકી ડબલ નહી પરંતુ ત્રણ ચાર ગણી કમાણી ખેતીમાંથી કરતા હોય છે ત્યારે અન્ય ખેડૂતોએ પણ કનવરજી ઠાકોર જેવા પ્રગતિશીલ ખેડૂત પાસેથી પ્રેરણા લઈ ખેતીના વ્યવસાય માં પ્રગતિ કરવી જોઈએ.