

આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: હું તમને છોડીને જાઉં છું કારણ કે હું મારી પ્રેમિકા વગર રહી શકું તેમ નથી. મારી પ્રેમિકા પણ મારા વગર રહી શકે તેમ નથી તેથી અમે બંને બધાને છોડીને જઈ રહ્યા છીએ. બનાસકાંઠાના નોખા ગામ (Nokha village) પાસે નર્મદા કેનાલમાં ફરી એક યુગલે ઝંપલાવી આત્મહત્યા (Suicide) કરી લીધી છે. આપઘાત કરી લેનાર યુવક અને યુવતી છેલ્લા પાંચ વર્ષથી એકબીજાને પ્રેમ (Love relation) કરતા હતા. બંને એક ન થઈ શકતા એક સુસાઇડ નોટ લખને આપઘાત કરી લીધો છે. સુસાઇડ નોટમાં બંનેએ એવી અપીલ કરી છે કે બંનેના અંતિમ સંસ્કાર એક સાથે જ કરવામાં આવે.


યુગલે લખેલી સુસાઇડ નોટ: "હું તમને છોડીને જાઉં છું કારણ કે હું મારી પ્રેમિકા વગર રહી શકું તેમ નથી. મારી પ્રેમિકા પણ મારા વગર રહી શકે તેમ નથી તેથી અમે બંને બધાને છોડીને જઈ રહ્યા છીએ. અમે ક્યારેય સાથે તો રહેવાના નથી તેથી તે વિચારીને જઈએ છીએ. અમારાથી કંઈ નાની મોટી ભૂલ થઈ હોય તો માફ કરજો. અમે સાથે તો રહ્યા નથી પરંતુ અમારા અગ્નિ સંસ્કાર સાથે થાય તેવા પ્રયત્ન કરજો. આટલી અમારી ઇચ્છા પૂરી કરજો."


"જેને હું પાંચ વર્ષથી પ્રેમ કરું છું તેને બીજાની કેમ થવા દઉં. હું મારા મમ્મી-પપ્પાને દુઃખી કરવા ન્હોતો માંગતો તેથી મારે આ પગલું ભરવું પડ્યું. એ જે મને પ્રેમ કરે છે તે છોકરી પણ બીજાની થવા નથી માંગતી તેથી અમે આ કરી રહ્યા છીએ. આના સિવાય બીજો આઇડિયા અમારા પાસે નતો. સોરી."


દિયોદર તાલુકાના ઝાડા ગામના એક પ્રેમી યુગલે આત્મહત્યા કરી લીધી છે. ઝાડા ગામ ખાતે રહેતો શ્રવણ જોરાજી ઠાકોર અને ગામમાં રહેતી એક યુવતી બંને એકબીજાને પ્રેમ કરતા હતા. છેલ્લા પાંચ વર્ષથી બંને એકબીજાને પ્રેમ કરતા હોઇ એકબીજા વગર રહી શકે તેમ ન હોવાથી ગઈકાલે બંનેએ નોખા ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.


બનાવને પગલે આજુબાજુના લોકો અને સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ બંને મૃતકોની લાશને બહાર કાઢી હતી. દિયોદર પોલીસે બંને મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડી હતી. યુવક અને યુવતીના પરિવારજનો પણ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.


બંને પ્રેમી યુગલે આત્મહત્યા કરતા પહેલા તેમના માતા-પિતાને સંબોધીને લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં બંને એકબીજાને છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ કરતા હતા અને તેમના મમ્મી પપ્પાને પરેશાન કરવા ન માંગતા હોઇ આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.


"બંને એકબીજા વગર જીવી તો નથી શક્યા પરંતુ મર્યા બાદ બંનેના સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવે," તેવી અપીલ સુસાઇડ નોટમાં અપીલ કરવામાં આવી છે. દિયોદર પોલીસે કેનાલ પાસેથી મળી આવેલી સુસાઇડ નોટ અને બાઈક મૃતકોના પરિવારને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.