

પાલનપુરનાં રતનપુર નજીક બે લોડિંગ જીપ અને ટવેરા કાર વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. જ્યારે 6 જણ ઇજાગ્રસ્ત છે. કારમાં સવાર લોકો પાલનપુરથી માઅંબાનાં દર્શન કરવા અંબાજી જઇ રહ્યાં હતાં. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


આ મામલે મળતી માહિતી પ્રમાણે પાલનપુરનાં શક્તિનગર વિસ્તારોમાં રહેતા સૈની પરિવારના સભ્યો આજે રવિવારે સવારે અંબાજી દર્શન કરવા માટે ટાવેરા ગાડીમાં જતા હતાં. તેમની કાર રતનપુર નજીકથી પસાર થતી હતી ત્યારે જ સામેથી પુર ઝડપે આવેલા લગ્નના ડીજેનાં સ્પીકરોથી ભરેલી લોડિંગ જીપ ચાલકે ટાવેરા તેમજ ગાય ભરીને જતી લોડિંગ જીપને ધડાકાભેર ટક્કર મારી હતી.


આ ગોઝારા અકસ્માતમાં ટાવેરાનાં ફુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે 6 વ્યક્તિઓને ઇજા થતાં 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.


આ અકસ્માતનાં મૃતકોનાં નામમાં 73 વર્ષનાં દેવાનંદભાઇ મોતીલાલ સૈની, 60 વર્ષનાં ગોદાવરીબેન રાઠી, 8 વર્ષનો ભવ્ય અનિલકુમાર મહેશ્વરીનાં સામેલ થાય છે. જ્યારે 30 વર્ષનાં પીંકીબેન રાઠી, 45 વર્ષીય લલિતાબેન જગદીશભાઇ રાઠી, 30 વર્ષીય સીમાબેન ચોડક, 13 વર્ષનાં જતીન મહેશ્વરી, 60 વર્ષનાં ગવારીબેન મહેશ્વરી અને પાંચ વર્ષની ચાર્વી ચોડક ઇજાગ્રસ્ત છે. તમામ ઇજાદ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.


આ અકસ્માતને કારણે રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે પણ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી છે.