હાર્દિક પટેલ, અરવલ્લી : જીલ્લામાં ગત વર્ષના પ્રથમ મહિનામાં સૌપ્રથમ સાયરા નજીક વડના ઝાડ સાથે યુવતીનો ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળ્યા બાદ સતત ઝાડ સાથે કે પંખે લટકતી લાશો મળી આવવાનો સિલસિલો જોવા મળ્યો હતો, ત્યારે વર્ષ-૨૦૨૦નું પુનરાવર્તન થઇ રહ્યું હોય તેમ ૨૦૨૧ના શરૂઆતના ૧૩ દિવસમાં એક સામુહિક આત્મહત્યામાં એક જ પરિવારની ચાર લાશ તળાવમાંથી મળી આવ્યા બાદ બુધવારે સવારે ટીંટોઈ નજીક ઈન્દીરાનગર વિસ્તાર નજીક ખેતરમાંથી અજાણ્યા યુવકની ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી. જીલ્લા પોલીસ તંત્ર માટે પણ સતત મળી આવતા મૃતદેહો પડકારજનક સ્થિતિમાં મૂકી રહ્યા છે.
જીંદગી અણમોલ છે જીવનમાં સુખ અને દુખ આવ્યા કરે છે. કેટલાક તબક્કામાં ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરવાનો વખત આવતો હોય છે. પરંતુ દરેક સમસ્યાનું સમાધાન પણ ચોક્કસ હોય જ છે. જોકે હાલના તબક્કે લોકોની સહનશક્તિ પણ ઘટવા લાગી છે. પરિણામે સામાન્ય વાતમાં પણ નાસીપાસ થઈ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરી લેતાં લોકો વિચારતા નથી. છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાઓનું પ્રમાણ વધતાં બનાવોને લઈને લોકમાનસ પર ચિંતાના વાદળો ઘેરાયા છે જિલ્લામાં આત્મહત્યાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જીલ્લામાં બે જાન્યુઆરીથી અત્યાર સુધી 5 લટકતા મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી છે.
મોડાસાના ટીંટોઈના ઈન્દીરાનગર વિસ્તારના ખેતરમાંથી અજાણ્યા યુવકની ઝાડ સાથે ફાંસો લગાવલી હાલતમાં લાશ જોવા મળતા યુવકની હત્યા કે, આત્મહત્યા અંગે અનેક સવાલો પેદા થયા હતા. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સ્થાનિકોએ રૂરલ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી યુવકની લાશને પીએમ માટે ખસેડી યુવકના પરિવારજનો અંગે શોધખોળ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવક ભિલોડા તાલુકાના હિંમતપુર ગામનો દિનેશ કાંતિભાઈ નીનામા હોવાનું જણાઈ આવ્યું છે. યુવકના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી છે. હાલ તો માનસિક બીમારી કે અગમ્ય કારણોસર ઝાડ સાથે આત્મહત્યા કરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે પરંતુ, મૃતક યુવકની લાશનું પીએમ કર્યા બાદ હત્યાનું સાચું કારણ જાણી શકાશે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી.