ફેબ્રુઆરી 2021માં બિકાનેરની રહેવાસી મોનાલિસાની જયપુરના અજમેર રોડ પર ઓમેક્સ સિટીમાં હત્યા કરવામાં આવી હતી. મોનાલિસાની હત્યા તેના પતિ ભવાની સિંહે કરી હતી. તે દિવસોમાં રાજ્યમાં કોરોનાનો પ્રકોપ હોવાથી ભવાની સિંહે પત્નીની હત્યા કર્યા બાદ સોડાલા સ્થિત સ્મશાનભૂમિમાં મોનાલિસાના અંતિમ સંસ્કાર કર્યા હતા.
થોડા દિવસો પછી જ્યારે સંબંધીઓને ખબર પડી તો તેમને શંકા ગઈ હતી. તેમણે બિકાનેર એસપી ઓફિસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ઘણા દિવસો સુધી કોઈ કાર્યવાહી ન થતાં મોનાલિસાના સંબંધીઓ ડીજીપીને મળ્યા હતા. બાદમાં જ્યારે બગરુ પોલીસ સ્ટેશને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે સ્મશાનભૂમિ પર કોઈ રેકોર્ડ નથી કે જ્યાં મોનાલિસાનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. નવેમ્બર 2022માં બિકાનેર પોલીસે મોનાલિસા હત્યા કેસનો ખુલાસો કરતી વખતે ભવાની સિંહ અને તેના એક સાથીદારની ધરપકડ કરી હતી.
મોનાલિસા એક સારા પરિવારથી સંબંધ ધરાવતી હતી. તેની પાસે બિકાનેરમાં કરોડો રૂપિયાની જમીન પણ હતી. ભવાની સિંહને જ્યારે મોનાલિયા વિશે માહિતી મળી તો તેણે તેની નિકટતા વધારી હતી. તેણે પહેલા મિત્રતા કરી અને પછી પ્રેમનો ઢોંગ કર્યો. મોનાલિસા ભવાનીની વાતમાં આવી ગઇ અને તે બિકાનેરથી જયપુર આવી અને ભવાની સિંહ સાથે રહેવા લાગી હતી. બંને થોડા મહિનાઓથી લિવ-ઈન રિલેશનશિપમાં હતા. બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. ભવાની સિંહની નજર મોનાલિસાની મિલકત પર હોવાથી ફેબ્રુઆરી 2021માં ભવાનીએ દૂધમાં ઊંઘની ગોળીઓ મિક્સ કરીને મોનાલિસાને પીવડાવી દીધુ હતું. ઊંઘની ગોળીઓના કારણે મોનાલિસા ગાઢ નિંદ્રામાં સરી પડી હતી અને ભવાનીએ તેને ઓશીકા વડે દબાવી દીધી હતી. મોનાલિસાનું મોત શ્વાસ રૂંધાવાથી થયું હતું.