નવી દિલ્હી : 2020ના વર્ષમાં અનેક લોકોએ નોકરી ગુમાવી તો તેમણે કમાણી કરવાના નવા વિકલ્પો શોધ્યા છે. તેમાં પણ ખેતીમાં જેમણે નવા પ્રયોગો કર્યા તેમને ઘણી સફળતા મળી છે. આવી જ રીતે ત્રણ ભાઈઓએ મેળવેલી સફળતાની સ્ટોરી સાંભળીને તમે પણ જો આવુ કંઈક કરવા ધારતા હશો તો ઉત્સાહ બેવડાઈ જશે. વારાણસીથી 25 કિલોમીટર દૂર ગાજીપુર હાઈવેની પાસે નારાયણપુર ગામમાં રહેતા બે સગા ભાઈ રોહિત આનંદ પાઠક, મોહિત આનંદ પાઠક અને પિતરાઈ ભાઈ શ્વેતાંક પાઠકે દોઢ લાખ રૂપિયા લગાવીને મોતીની ખેતી અને મધમાખી ઉછેર કેન્દ્રની શરૂઆત કરી. આજે તેમની કમાણી ત્રણથી ચાર ગણી વધી ગઈ છે. તેઓ ખેડૂતોને ટ્રેનિંગ આપીને તેમને રોજગારી સાથે પણ જોડી રહ્યા છે.
શ્વેતાંક પાઠકે BHUથી MA અને Bed કર્યું છે. તેનો રસ મોતીઓ પર કામ કરવાને લઈને હતો. તેઓએ આ અંગે ઈન્ટરનેટથી જાણકારી મેળવી અને બંને ભાઈઓ સાથે ચર્ચા કર્યા બાદ ટ્રેનિંગનો મક્કમ ઈરાદો કર્યો. જે બાદ ભુવનેશ્વર જઈને CIFAમાંથી મોતીની ખેતીની ટ્રેનિંગ મેળવી હતી. ગામમાં આવી દોઢ લાખ રૂપિયાના ખર્ચે મોતીની ખેતી શરૂ કરી. નાના ભાઈને બંને ભાઈઓ સતત ગાઈડ કરતા રહ્યાં. નવેમ્બર 2018માં નાના ભાઈ શ્વેતાંકે બે હજાર છીપથી નાનું કામ શરૂ કર્યું હતું.
જુલાઈ 2020માં વિચાર આવ્યો કે ઘર બેસીને કલાકો સુધી નોકરી કરવાથી સારું છે કે અમે ત્રણેય ભાઈઓ મળીને મોતીની ખેતી અને મધમાખીના ઉછેરમાં લાગી જઈએ. કોઈને પણ જણાવ્યા વગર તેમને રાજીનામું આપી દીધું. ઘરમાં જ્યારે બધાંને ખબર પડી તો વાંધો પણ ઉઠાવ્યો. હવે ત્રણેય ભાઈઓએ મોતીની ખેતીની સાથોસાથ મધમાખી ઉછેર કેન્દ્રની પણ શરૂઆત કરી છે. અનેક કંપનીઓ તરફથી તેમને ઓર્ડર મળ્યા છે. આ રીતે જ મોહિતે BHUથી ગ્રેજ્યુએશન કરીને એક કંપનીમાં એક સારા પેકેજમાં નોકરી કરી હતી. મોટા ભાઈ રોહિતની સાથે વાતચીત કરીને મધમાખી ઉછેર કેન્દ્રની યોજના બનાવી. ઓક્ટોબર 2019માં નોકરીમાંથી રાજીનામું આપીને દિલ્હીમાં જ ગાંધી દર્શનથી મધમાખી ઉછેરની તાલીમ મેળવી હતી. થોડાં દિવસ પછી ગામડે પરત આવીને શ્વેતાંકની સાથે કામ કરવા લાગ્યો. હવે અનેક કંપનીઓ અહીંથી મધ લઈને જાય છે. તેઓ અનેક પ્રકારની વેરાયટીવાળા મધ સપ્લાઈ કરે છે.
શ્વેતાંક પાઠક કહે છે કે, અગ્રિકાશ અમારા પરિવાર દ્વારા બનાવવામાં આવેલી જ સંસ્થા છે. અમે 4000 છીપલાથી શરૂઆત કરી હતી. આજે 12 હજારથી વધુ છીપનું ઈન્સ્ટોલેશન થઈ ગયું છે. મોતીની ખેતી માટે ઈન્ટરનેટ પર ઘણાં સમય સુધી સર્ચ કરતો રહ્યો. મોટા ભાઈ રોહિત બંને ભાઈઓને ગાઈડ કરવાની સાથે જ અન્ય યુવાનોને સ્કિલની ટ્રેનિંગ પણ આપે છે. 50થી વધુ યુવાનો અને ખેડૂતો તેમની સાથે જોડાયેલા છે. છીપની ખેતી, ઈન્સ્ટોલેશન, સાચવણી તે તમામ કામ માટે આખી ટીમ છે. શ્વેતાંક છીપની અંદર ડિઝાઈનર બીડથી ગમે તેવો આકાર બનાવે છે. 8-10 મહિના પછી છીપથી ડિઝાઈનર મોતી કાઢવામાં આવે છે. PM મોદીએ સપ્ટેમ્બરમાં આ ત્રણ ભાઈઓની સફળતાની કહાની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ત્યારથી આત્મનિર્ભર ભારતનું એક ઉદાહરણ આ ત્રણેય ભાઈઓ બની ગયા છે. જે લોકો તેમની મજાક ઉડાવતા હતા તે લોકો જ હવે તેમની સાથે જોડાઈને વેપાર કરે છે. બકરી પાલન અને મશરૂમનું કામ પણ તેમણે શરૂ કર્યું છે.