મુંબઈ. મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં નવો જ ટ્વિસ્ટ આવતા શિવસેનાના (shivsena)બળવાખોર જૂથના એકનાથ શિંદે (CM Eknath Shinde)મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (bhagat singh koshyari) એ ગુરુવારે સાંજે રાજભવનમાં એકનાથ સંભાજી શિંદેને (Eknath Shinde) રાજ્યના 20મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવડાવ્યા હતા. ભાજપના દેવેન્દ્ર ફડણવીસ (devendra fadnavis) નાયબ મુખ્યમંત્રી બન્યા છે. એકનાથ શિંદે પોતાના મહેનતના બળે આગળ આવ્યા છે. એકસમયે તે રિક્ષા ડ્રાઇવર હતા. રિક્ષા ડ્રાઇવરથી લઇને મુખ્યમંત્રી સુધીની સફર તમને બતાવી રહ્યા છીએ.
મહારાષ્ટ્રના સતારામાં જન્મ - 9 ફેબ્રુઆરી 1964ના રોજ એકનાથ શિંદેનો જન્મ થયો હતો. મહારાષ્ટ્રનો સતારો જિલ્લો તેમનો ગૃહ જિલ્લો છે. ઠાણેમાં તેઓ ભણવા માટે આવ્યા હતા, તેઓ ધોરણ 11 સુધી ભણ્યા છે. ત્યારબાદ તેઓ વાગલે એસ્ટેટ વિસ્તારમાં રીક્ષા ચલાવવા લાગ્યા હતા. તે દરમિયાન તેમની મુલાકાત શિવસેના નેતા આનંદ દિઘે સાથે સાથે થઈ. 18 વર્ષની ઉંમરે તેમના રાજનૈતિક કરિઅરની શરૂઆત થઈ અને તેઓ શિવસેનાના કાર્યકર્તા તરીકે રાજકારણમાં જોડાયા. 5 વર્ષ સુધી તેમણે શિવસેનાના કાર્યકર્તા તરીકે કામ કર્યું. ત્યારબાદ વર્ષ 1997માં તેઓ ચૂંટણીના રાજકારણમાં જોડાયા. વર્ષ 1997માં ઠાણેની નગર નિગમ ચૂંટણીમાં આનંદ દિધેએ એકનાથ શિંદેને કાઉન્સિલરની ટીકીટ આપી. શિંદે આ ચૂંટણી જીતી ગયા હતા. વર્ષ 2001માં નગર નિગમ સદનમાં વિપક્ષ નેતા તરીકે જોડાયા, ત્યારબાદ વર્ષ 2002માં તેઓ બીજી વાર કાઉન્સિલર બન્યા હતા.
આનંદ દિધેના નિધન બાદ તેમની પ્રતિષ્ઠામાં વધારો થવા લાગ્યો - વર્ષ 2001માં એકનાથ શિંદેની શાખમાં વધારો થવા લાગ્યો. તેમના રાજનૈતિક ગુરુ આનંદ દિધેનું વર્ષ 2001માં નિધન થયું હતું. ત્યારબાદ ઠાણેની રાજનીતિમાં એકનાથ શિંદેની પકડ મજબૂત થવા લાગી. વર્ષ 2005માં નારાયણ ઠાણેએ પાર્ટી છોડી દેતા એકનાથ શિંદેની શિવસેનામાં શાખ વધવા લાગી. રાજ ઠાકરે પાર્ટીમાંથી અલગ થઈ ગયા, ત્યારબાદ શિંદે ઠાકરે પરિવાર સાથે જોડાવા લાગ્યા.
વર્ષ 2004માં પહેલી વાર ધારાસભ્ય બન્યા - વર્ષ 2004ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ એકનાથ શિંદેને ઠાણે વિધાનસભા બેઠકની ટિકિટ આપી. તેઓ ઠાણે વિધાનસભા પરથી ધારાસભ્ય બની ગયા. તેમણે કોંગ્રેસના મનોજ શિંદેને 37,000 વધુ વોટથી હરાવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2009, 2014 અને વર્ષ 2019માં શિંદે ઠાણે જિલ્લાની કોપરી પછપાખડી સીટ પરથી જીતીને વિધાનસભા પહોંચી ગયા. એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં લોક નિર્માણ મંત્રી બન્યા હતા.
દુર્ઘટનામાં બે બાળકોનું મોત - એકનાથ શિંદે જે સમયે કાઉન્સિલર હતા તે સમયે તેમનો પરિવાર સતારા ગયો હતો. બોટિંગ કરતા સમયે એકનાથ શિંદેના 11 વર્ષના પુત્ર દીપેશ અને 7 વર્ષની દીકરી શુભદા ડૂબી જતા તેમનું મૃત્યુ થયું હતું. શિંદેની આંખની સામે જ તેમના બે બાળકો ડૂબી ગયા હતા. તે સમયે તેમનો બીજો પુત્ર શ્રીકાંત માત્ર 13 વર્ષનો હતો. શ્રીકાંત હાલમાં કલ્યાણ લોકસભા સીટ પરથી શિવસેના સાંસદ છે. આ દુર્ઘટના બાદ એકનાથ શિંદે ખૂબ જ તૂટી ગયા હતા. તેઓ રાજનીતિમાંથી અલગ થઈ ગયા હતા. તે દરમિયાન આનંદ દિધેએ એકનાથ શિંદેને સાચવ્યા હતા અને રાજનીતિ ફરી એકવાર પરત ફર્યા હતા.
11 કરોડની સંપત્તિ, 18 કેસ થયા - વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં એકનાથ શિંદેએ સોગંદનામું દાખલ કર્યું હતું. આ સોગંદનામા અનુસાર તેમની સામે 18 કેસ થયા હતા. આ તમામ કેસમાં આગ અથવા વિસ્ફોટક પદાર્થથી લોકોને નુકસાન પહોંચાડવું, ગેરકાયદાકીય રીતે ભીડનો એક ભાગ બનવું, સરકારી કર્મચારીઓના આદેશની અવગણના કરવી તથા અન્ય કેસ પણ શામેલ છે. આ સોગંદનામા અનુસાર એકનાથ શિંદે પાસે કુલ 11 કરોડ 56 લાખથી વધુની સંપત્તિ છે. જેમાં 2.10 કરોડથી વધુની સ્થિર અને 9.45 કરોડથી વધુની અસ્થિર સંપત્તિ છે. એકનાથ શિંદેએ ચૂંટણી માટે સોગંદનામું દાખલ કર્યું હતું,. આ સોગંદનામા અનુસાર એકનાથ શિંદેના અને તેની પત્નીના નામ પર ત્રણ ત્રણ ગાડીઓ છે. એકનાથ શિંદેની આ 6 કારમાં બે ઈનોવા, બે સ્કોર્પિયો, એક બોલેરો અને એક મહિન્દ્રા અર્મડા ગાડી શામેલ છે. એકનાથ શિંદે પાસે એક પિસ્તોલ અને એક રિવોલ્વર છે.