

નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ગણતંત્ર દિવસે (Republic Day 202) ટ્રેક્ટર પરેડ (Farmers Tractor Parade) યોજવા દરમિયાન કેટલાક સ્થળે પોલીસ (Delhi) અને પ્રદર્શનકારી ખેડૂતો (Protester Farmers)ની વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું. કેટલાક પ્રદર્શનકારી લાલ કિલ્લા (Red Fort) સુધી પહોંચી ગયા હતા. જે પૈકી કેટલાકે લાલ કિલ્લાની અંદર ઘૂસી પોતાનો ઝંડો ફરકાવવાનો પ્રયાસ કર્યો.


દિલ્હીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે આઇટીઓ પર ઘર્ષણ જોવા મળ્યું. આ દરમિયાન લગભગ બે ડઝન ટ્રેક્ટરમાં સવાર હજારો પ્રદર્શનકારી લાલ કિલ્લા પરિસરમાં પહોંચી ગયા અને ત્યાં પ્રદર્શન કરવા લાગ્યા. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓ લાલ કિલ્લામાં ઘૂસીને ઝંડો ફરકાવવાનો પ્રયાસ કર્યો.


લાલ કિલ્લા ખાતે પહોંચેલા ખેડૂતોને પોલીસ સમજાવીને ત્યાંથી જવાની અપીલ કરી રહી છે. ખેડૂત લાલ કિલ્લાની બહાર પણ એકત્ર થયેલા છે. આ પહેલા લાલ કિલ્લાની પાસે આઇટીઓ ચોક પર ખેડૂતોને રોકવા માટે પોલીસે પ્રયાસ કર્યો. પરંતુ ખેડૂતો લાલ કિલ્લે જવા માટે અડગ રહ્યા. આઇટીઓ પર પોલીસ અને ખેડૂતોની વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.


દિલ્હીની સરહદે આવેલા સિંઘુ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના કેટલાક સમૂહ મંગળવારે પોલીસના બેરિકેડ્સને તોડીને દિલ્હીમાં પ્રવેશી ગયા. અહીં અનેક દિવસોથી કેન્દ્રના ત્રણ નવા કાયદાઓની વિરુદ્ધ ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. અધિકારીઓએ આપેલી જાણકારી અનુસાર સુરક્ષાકર્મીઓએ ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડને ખતમ થયા બાદ તેમને દિલ્હીમાં ટ્રેક્ટર પરેડની મંજૂરી આપવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે, પરંતુ ખેડુતોના કેટલાક સમૂહ માન્યા નહીં અને પોલીસના બેરિકે્ડસ તોડીને આઉટર રિંગ રોડ તરફ આગળ વધવા લાગ્યા.


કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા 41 ખેડૂત સંઘોના પ્રમુખ સંગઠન ‘સંયુક્ત કિસાન મોર્ચા’ના એક સભ્યએ જણાવ્યું કે બેરિકેડ્સ તોડનારા લોકો ‘કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ’ના સભ્ય હતા.


‘કિસાન ગણતંત્ર પરેડ’ને ધ્યાને લઈ કડક સુરક્ષા વ્યવસ્થા - તેઓએ કહ્યું કે, ખેડૂતોની ટ્રેક્ટર પરેડ પોલીસની મંજૂરી બાદ નિર્ધારિત સમય પર શરૂ થશે. પ્રદર્શન કરી રહેલા સંગઠનોએ 1 ફેબ્રુઆરીએ સંસદ સુધી પગપાળા માર્ચ કરવાની પણ ઘોષણા કરી છે, જે દિવસે સંસદમાં વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવશે. દિલ્હીમાં સિંઘુ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર પ્રસ્તાવિત કિસાન ગણતંત્ર પરેડને ધ્યાને લઈ સઘન સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.


સવારે લગભગ 10.30 વાગ્યે ખેડૂતોની એક જૂથ સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર પહોંચ્યું. અહીં એક તરફ જ્યાં સ્થાનિક લોકોએ ફુલવર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું તો બીજી તરફ સુરક્ષા દળો સાથે તેમનો સંઘર્ષ થઈ ગયો. સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગરમાં ખેડૂતોને વિખેરવા માટે પોલીસે ટિયરગેસનો ઉપયોગ કર્યો.


બીજી તરફ, દિલ્હીના મુકરબા ચોક પર ખેડૂતોએ એક પોલીસ વાહન પર સવાર થઈને બેરિકેડિંગ હટાવતા જોવા મળ્યા. તેની સાથોસાથ ખેડૂતોએ પાંડવ નગરની પાસે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર પોલીસ બેરિકેડિંગને ધકેલ્યા અને પાડી દીધા.


સિંઘુ બોર્ડર પર સંયુક્ત પોલીસ કમીશ્નર એસ. એસ. યાદવે કહ્યું કે, તેઓએ અમારો સહયોગ કર્યો છે અને અમે તેમનો સહયોગ કરી રહ્યા છીએ. અમારો અનુરોધ છે કે તેઓ હાલ જે રૂટ પર ચાલી રહ્યા છે, તેની પર ચાલતા રહે.


બીજી તરફ, સિંઘુ બોર્ડર પર કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના સતનામ સિંહ પન્નૂએ કહ્યું કે, રિંગ રોડ તરફ આગળ વધવાનું છે પરંતુ પોલીસ અમને રોકી રહી છે. અમે તેમના સીનિયર્સ સાથે વાત કરવા માટે 45 મિનિટનો સમય આપ્યો હતો. અમે શાંતિપૂર્ણ પરેડ કરી રહ્યા છીએ. જે રૂટ પર અમને ચાલવા માટે કહેવામાં આવી રહ્યું છે, તેની પર અમે સહમત નથી.