નવી દિલ્હી. દેશમાં ફરી એકવાર કોરોના વાયરસે દસ્તક આપવાનું શરૂ કર્યુ હોય તેમ લાગી રહ્યુ છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધવા લાગી છે. ચાર મહિના પછી શનિવારે દેશમાં કોવિડ-19ના 2,994 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સક્રિય કેસની સંખ્યા વધીને 16,354 થઈ ગઈ હતી. જેના કારણે લોકોમાં કોરોનાની ચોથી લહેર આવવાની ચિતા વ્યાપી ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, સંક્રમણના નવા કેસ સાથે ભારતમાં કોવિડ -19 કેસની સંખ્યા વધીને 4.47 કરોડ થઈ ગઈ છે. આ દરમિયાન 9 લોકોના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક વધીને 5,30,876 થઈ ગયો છે.
દિલ્હી, કર્ણાટક અને પંજાબમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે બે-બે મોત થયા છે. ગુજરાતમાં એક અને કેરળમાં બે મોતની માહિતી મળી છે. કોરોનાના 16,354 સક્રિય કેસ છે, જે ચેપના કુલ કેસના 0.04 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, કોવિડ-19માંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.77 ટકા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, દૈનિક હકારાત્મકતા દર 2.09 ટકા અને સાપ્તાહિક હકારાત્મકતા દર 2.03 ટકા નોંધવામાં આવ્યો હતો.
1લી એપ્રિલે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 372 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 128 કેસ નોંધાયા છે. જ્યારે 388 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એકપણ દર્દીનું મોત થયું નથી. છેલ્લા અઠવાડિયે દર્દીના કોરોનાને કારણે સાત દર્દીના મોત નીપજ્યાં છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.
રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કોરાનાની વધતી સંખ્યા અંગે કહ્યું હતું કે, XBB.1.16 "ઝડપથી ફેલાય છે અને રસી બિનઅસરકારક છે" પરંતુ તે "ગંભીર નથી". સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ઓક્સિજન અને વેન્ટિલેટર સહિત 7,986 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આમાંથી અત્યાર સુધીમાં ફક્ત 66 બેડ પર દર્દીઓ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં જે ત્રણ મૃત્યુ થયા છે તે કોવિડ સંબંધિત નથી. દર્દીઓને અન્ય બિમારીઓ હતી અને કોરોનાવાયરસ "આકસ્મિક" રીતે થયો હતો.
તેમણે તેમ પણ જણાવ્યુ કે, અન્ય રાજ્ય સરકારો પણ કોવિડ -19 માટેના ટેસ્ટમાં વધારો કરી રહી છે અને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ (Mask & Social Distance)ને પ્રોત્સાહિત કરી રહી છે, કારણ કે વાયરસના કેસની સંખ્યામાં વધારો યથાવત છે, દૈનિક કેસો (Covid-19 Daily Cases in India)ની સંખ્યા લગભગ છ મહિનાના રેકોર્ડને તોડી રહી છે. શુક્રવારે ભારતમાં 24 કલાકમાં 3,095 નવા કેસ જોવા મળ્યા હતા.
શનિવારે દિલ્હીમાં કોરોના વાયરસના ચેપના 416 નવા કેસ નોંધાયા છે, જ્યારે ચેપ દર વધીને 14.37 ટકા થઈ ગયો છે. છેલ્લા સાત મહિનામાં એક દિવસમાં આ સૌથી વધુ કેસ છે. આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલા ડેટા પરથી આ માહિતી મળી છે. આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, ચેપને કારણે મૃત્યુનો એક કેસ સામે આવ્યો છે અને મૃત્યુઆંક વધીને 26,529 થઈ ગયો છે.
હરિયાણા સરકારે પણ નવી માર્ગદર્શિકા જારી કરી છે અને તમામ આરોગ્ય સુવિધાઓને કોઈ દેશ અથવા એવા વિસ્તારમાં મુસાફરીની હિસ્ટ્રી ધરાવતા શંકાસ્પદ કેસની ટ્રાવેલ હિસ્ટ્રી રેકોર્ડ કરવા જણાવ્યું છે. જ્યાં આ વાયરસની જાણ થઈ છે. આરોગ્ય વિભાગના જાહેરનામામાં જણાવાયું છે કે, "આ ઉપરાંત, કોવિડ-19ના શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલા કેસના સંપર્કમાં આવવાનો ઇતિહાસ નોંધવામાં આવશે અને આવા તમામ કેસોની માહિતી તાત્કાલિક જિલ્લાના સિવિલ સર્જનની કચેરીને આપવામાં આવશે."