નવી દિલ્હી: કોરોના વેક્સીન (Corona Vaccine)ને લઈનને દરરોજ નવી નવી માહિતી સામે આવી રહી છે. વૈજ્ઞાનિકોના મતે દારૂ (Alcohol) પીવાની લત કોરોનાથી બચવા માટે લગાવવામાં આવનારી વેક્સીનની અસરને ઓછી કે બેઅસર કરી શકે છે. વૈજ્ઞાનિકોના મત કોરોનાની વેક્સીન લગાવ્યા બાદ બે મહિના સુધી દારૂ પીવાથી દૂર રહેવું જોઈએ. આ પ્રકારની સલાહ રશિયાના ઉપપ્રધાનમંત્રી તાતિયાના ગોલિકોવા (Tatyana Golikova)એ લોકો માટે જાહેર કરી છે. રશિયામાં આજકાલ લોકોને કોરોનાથી બચાવવા માટે સ્પૂતનિક-V વેક્સીન (Sputnik-V Vaccine) આપવામાં આવી રહી છે.
તાતિયાના ગોલિકોવાના જણાવ્યા પ્રમાણે લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે જો તેમણે કોરોનાથી બચવું હોય અને વેક્સીનની અસર જોવી હોય તો થોડા દિવસો સુધી દારૂથી દૂર રહેવું પડશે. તેમણે કહ્યુ, આ સલાહનો ઉદેશ્ય લોકોની એન્ટીબોડીને મજબૂત કરવાનો છે. તેમણે કહ્યુ કે રશિયામાં લોકોને સ્પૂતનિક-V આપવાનું કામ ચાલી રહ્યું છે. રસીકરણના બે મહિના પછી રસી પોતાનું કામ કરશે. આથી બે મહિના સુધી જેમણે રસી લીધો હોય તે લોકોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે.
સરકાર તરફથી સલાહ આપવામાં આવી છે કે રસીનો ડોઝ લેનાર દરેક વ્યક્તિએ ખાવા-પીવા મામલે વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. તેમણે કહ્યું કે રસીનો ડોઝ લીધો હોવાનો મતલબ એવો નથી કે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખી શકાય. વેક્સીન લગાવ્યા પછી પણ ભીડ હોય તેવા વિસ્તારોમાં ન જવું જોઈએ. સાથે જ સેનિટાઇઝર અને માસ્કનો ઉપયોગ પણ ફરજિયાત કરવો જોઈએ.
આલ્કોહોલ વેક્સીનની અસર ઘટાડે છે: રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયના ગમાલિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપિડેમોલૉજી અને માઇક્રોબાયોલૉજીના પ્રમુખ એલેક્ઝેન્ડર ગિન્ટ્સબર્ગના જણાવ્યા પ્રમાણે, આલ્કોહોલ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી)ને નબળી પાડી દે છે. આથી રસી લગાવ્યા પછી તેનું સેવન કરવામાં આવે તો રસીની અસર એટલી નથી થતી જેટલી થવી જોઈએ. એટલું જ નહીં, આલ્કોહોલ અનેક વખત રસીની અસરણને સંપૂર્ણ નાબૂદ પણ કરી શકે છે.