કેતન પટેલ, મહેસાણા: આપણા દેશમાં બે ખ્યાતનામ સૂર્ય મંદિરો (Sun Temple)માં એક મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા સૂર્ય મંદિર (Modhera Sun Temple) છે. આ સૂર્યમંદિર પાટણનાં રાજા ભીમદેવે બનાવડાવ્યું હતું. આ મંદિર સૂર્ય મંદિર તો કહેવાય છે પરંતુ અહીં મંદિરમાં મૂર્તિ (GOD Idol) નથી! આથી સ્થાનિકો તેમજ પર્યટકોની એવી માંગ છે કે મંદિરમાં સૂર્ય દેવતાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે. આ મંદિરમાં જે તે સમયે મૂર્તિ હતી પરંતુ મંદિરો પર હુમલા થયા ત્યારે તેને બીજે ક્યાંક ખસેડવામાં આવી હોઈ શકે છે તેવી વાત કહેવામાં આવી રહી છે.
મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના મોઢેરા સૂર્ય મંદિરનું નિર્માણ અંદાજે 1,000 વર્ષ પૂર્વે સોલંકીકાળમાં થયું હતું. પાટણના તે વખતના રાજવી ભીમદેવ ( Raja Bhimdev) હતા. જેઓ સૂર્ય દેવતાના ઉપાસક હતા. જેથી મોઢેરા પાસેથી પસાર થતી પુષ્પાવતી નદી (Pushpavati River)ના કાંઠે તેમના દ્વારા સુંદર રેતીયા પથ્થરોથી આબેહૂબ સૂર્ય મંદિરનું નિર્માણ કરાયું હતું.
આ મંદિરમાં સુંદર સૂર્ય દેવતાની મૂર્તિની પણ સ્થાપના રાજવી ભીમદેવ દ્વારા કરવામાં આવી હતી. તે સમયે સૂર્ય દેવતાની મૂર્તિ ઉપર અતિ મૂલ્યવાન હીરા જડિત મુગુટ પણ હતો. આ મુગુટ ક્યાં અને કોણ લઈ ગયું તેની કોઈ માહિતી નથી. જ્યારે હિન્દુ મંદિરો ઉપર હુમલા અને મૂર્તિઓ ખંડિત કરવાના પ્રયાસો થઈ રહ્યા હતા ત્યારે મોઢેરા સૂર્ય મંદિરમાં સૂર્ય પ્રતિમા અન્ય સ્થળે ખસેડાઇ હોવાનું માનવામાં આવે છે. ત્યારથી આ મંદિર સૂર્ય મંદિર તરીકે ઓળખાય છે પરંતુ હકીકતમાં તે મંદિર રહ્યું નથી. આથી અહીં આવતા પર્યટકો અને શ્રદ્ધાળુઓની એવી માંગ છે કે મંદિરમાં ફરીથી મૂર્તિ સ્થાપન કરવામાં આવે.
જગ વિખ્યાત મોઢેરા સૂર્ય મંદિરમાં સૂર્યભગવાનની પ્રતિમા નહીં હોવાથી અહીં આવતા યાત્રિકો દર્શનથી વંચિત રહે છે. હાલ લોકો માત્ર સૂર્ય મંદિરમાં આહલાદક કોતરણી અને શિલ્પ કલા શૈલી નિહાળવાનો લ્હાવો લઈ રહ્યા છે. લોકો દર્શનનો લાભ ગુમાવી રહ્યા છે. અહીં ઉત્તર ગુજરાતના લોકોની સાથે સાથે અન્ય સ્થળોએથી આવતા શ્રદ્ધાળુઓની માંગ છે કે અહીં પહેલા જે મૂર્તિ સ્થાપિત હતી તેને શોધીને તેનું સ્થાપન કરવામાં આવે. જેનાથી મોઢેરા સૂર્ય મંદિર આસ્થાનું કેન્દ્ર પણ બની શકે.
ભારતમાં સૂર્ય મંદિર માત્ર કાશમુર, કોનાર્ક અને મોઢેરામાં જ છે. જેમાં મોઢેરામાં જ સૂર્યદેવની મૂર્તિ ન હોવાથી દર્શન દુર્લભ બન્યા છે. તંત્ર આ આ દિશામાં વિચાર કરીને મૂર્તિની સ્થાપના કરે તો ચોક્કસથી સોનામાં સુગંધ ભળે. મોઢેરા સૂર્ય મંદિર ભારતની પ્રાચીન ધરોહર છે. જે ફક્ત ગુજરાત અને ભારતમાં જ નહીં પરંતુ પરદેશમાં પણ આગવી ખ્યાતિ ધરાવે છે.