કેતન પટેલ, ઊંઝા : ઊંઝા શહેરમાં આવેલું એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ ઊંઝા માર્કેટયાર્ડ આગામી 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઊંઝા માર્કેટયાર્ડને આગામી 25 માર્ચ 2021 થી 1 એપ્રિલ 2021 સુધી આ માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઊંઝા વેપારી એસોસિએશન અને ઊંઝા માર્કેટયાર્ડ એસોસિએશન દ્વારા રજુઆત ના પગલે ઊંઝા માર્કેટયાર્ડ 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે વેપારીઓ દ્વારા માર્ચ એન્ડીંગના કારણે વર્ષ દરમ્યાન કરવામાં આવેલા વેપાર ધંધાના હિસાબો માટે હિસાબી વર્ષના છેલ્લા દિવસોમાં માર્કેટયાર્ડ બંધ રાખવા માટે એપીએમસીમાં રજૂઆત કરવામાં આવે છે. જેને પગલે એપીએમસી દ્વારા બંધ રાખવામાં આવે છે. જેમાં આ વખતે ઊંઝા માર્કેટયાર્ડ 25 માર્ચથી બંધ રાખવામાં આવશે જે 2 એપ્રિલના રોજ ફરી એકવાર શરૂ થશે. ત્યારે 25 તારીખથી 1 તારીખના સમય ગાળામાં ઊંઝા માર્કેટયાર્ડમાં વેપાર સહિત હરાજીનું કામકાજ બંધ રહેશે.
દર વખતે 5 કે 7 દિવસ માર્કેટયાર્ડ બંધ રહેતું હોય છે ત્યારે આ વખતે 8 દિવસ ઊંઝા માર્કેટયાર્ડ બંધ રહેશે. હાલમાં ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું, વરિયાળી, ઇસબગુલ સહિત અને મસાલા પાકો લઈને ખેડૂતો દૂર દૂર થી આવે છે. ખાસ કરીને ગુજરાત રાજ્ય સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશના ખેડૂતો હાલમાં જીરું વરિયાળી અને ઇસબગુલનો પાક લઈને ઊંઝા માર્કેટયાર્ડમાં આવે છે.