51 શક્તિપીઠોમાંથી એક પાવગઢ (Pavagdh) આદ્યશક્તિશ્રી મહાકાળી માતાજીનું (Mahakali Mata) મંદિર 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવરાત્રીનાં (Navratri) પાવન પર્વમાં દેશભરમાંથી પાવાગઢ લાખોની સંખ્યામાં માઇભક્તો દર્શન કરવા માટે આવે છે. જેથી પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભીડ એકઠી ન થાય અને કોરોના સક્રમણ (Corona pandemic) વધુના ફેલાય તે માટે મંદિર ભક્તજનો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માઈભક્તો માટે ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. તમે www.pawagadhtemple.in પર જઇને માતાજીના લાઇવ દર્શન (live Online Darshan) કરી શકો છો. (આજના દર્શન)
જોકે, માતાજીના મંદિર ખાતે રોજિંદા ક્રમ મુજબ માતાજીના પુજા-પાઠ, આરતી અને સેવા ચાલુ રહેશે. જેને લઈ જે યાત્રાળુઓ દૂર દૂરથી પગપાળા આવે છે તે યાત્રાળુઓ માટે જિલ્લા પ્રશાસન અને મંદિર ટ્રસ્ટ દ્વારા માંચી ખાતે તેમજ ચાંપાનેર તળેટી ખાતે મોટા મોટા એલ.ઇ.ડી. સ્ક્રીન લગાવી તથા ઓન લાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.
માતાજીના દર્શનથી ભક્તોની આસ્થા જળવાઈ રહે તેમજ પાવાગઢ તળેટીથી માંચી તરફ જવા માટે પ્રાઇવેટ વાહન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે, જ્યાં ફકત સરકારી બસ દ્વારા માંચી સુધી જવા દેવાનું આયોજન પણ કરાયું છે. તેમજ ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે. હાલોલ ડીવાયએસપીની સૂચના મુજબ 700 જેટલા પોલીસ કર્મચારી અધિકારીઓ ખડેપગે ફરજ બજાવશે. જેમાં 2 ડીવાયએસપી, 7 પીઆઈ, 40 પીએસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ જીઆરડી સહિત પોલીસ ફરજ બજાવશે. પોલીસે પાવાગઢમાં ચેકિંગ હાથ ધર્યું હતું.