નિધિ દવે, વડોદરા: કરજણ તાલુકાના કંડારી ગામે પાણીમાં ફસાયેલા લોકોને ઉગારવા એનડીઆરએફની 7 ટુકડીએ બચાવ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં અત્યાર સુધીમાં 63 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં સફળતા મળી છે. તેમાં 2 સગર્ભા મહિલાઓ સહિત કુલ 23 મહિલાઓ, 29 બાળકો અને 2 દર્દીઓ સહિત 11 પુરુષોનો સમાવેશ થાય છે તેમ દળના પ્રવક્તાએ જણાવ્યું છે.
જિલ્લા કલેકટરના જણાવ્યા મુજબ, સ્થાનિક કાંસનું પાણી વધતા 180 લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સતર્કતા દાખવી અન્ય તંત્રોનો સહયોગ લેવામાં આવ્યો હતો. પશુધનને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યું હતું. એનડીઆરએફની ટીમ ખૂબ જ પ્રશંસાને પાત્ર કાર્ય કરી રહી છે. પોતાના જીવને જોખમમાં મૂકીને વરસાદી માહોલમાં લોકોને સલામત સ્થળે ખસેડી રહ્યા છે.
વડોદરા જિલ્લામાંછેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ છવાયેલો (Rainy atmosphere) રહ્યો .અને તમામ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ (Heavy Rain) થયો હતો. જિલ્લા પુર નિયંત્રણ કક્ષ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ઉપરોક્ત સમય દરમિયાન સૌથી વધુ 183 મીમી ડભોઈમાં અને 144 મીમી કરજણ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જ્યારે પાદરામાં 46, વડોદરામાં 38 અને શિનોરમાં 34 મીમીની સાથે અન્ય ત્રણ તાલુકાઓમાં 8 થી 20 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.