સાબિર ભાભોર, દાહોદઃ ગુજરાતમાં રોડ અકસ્માતની (Accident) ઘટનાઓ બનતી રહે છે. ત્યારે દાહોદમાં એક વધુ એક અકસ્માતની ઘટના બની હતી. દાહોદ નજીક પ્રસૂતિ કરાવીને ઘરે પરત ફરતી મહિલા સાથે રીક્ષા (Rickshaw fall into Gorge) 30 ફૂટ ઊંડા કોતરમાં ખાબકી હતી. જેના પગલે નવજાત સહિત ત્રણ બાળકોના મોત (Children death) નીપજ્યા હતા. જ્યારે ત્રણ મહિલાનો બચાવ થયો હતો. ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડ (Fire brigade) અને પોલીસની (police) ટીમ ઘટના સ્થળે પહોંચીને મૃતકોની લાશને બહાર કઢાઈ હતી. ઘટનાના પગલે પરિવારજનોમાં ઉપર આભ તૂટી પડ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે દાહોદ તાલુકાના ચોસાલા ગામની 25 વર્ષીય રંગલીબેન કલસિંગભાઇ માવી નામની પ્રસૂતાને પ્રસવની પીડા ઉપડતા તેમના ગામની અન્ય બે મહિલાઓ તેમજ બે બાળકો સાથે રેટિયા PHC સેન્ટર પર પ્રસૂતિ કરાવવા ગયા હતા. જ્યાં તેમને તંદુરસ્ત બાળકને જન્મ થતા તેઓના ઘરે પારણું બંધાતા પરિવારજનોમાં ખુશી છવાઇ ગઈ હતી.
ત્યારબાદ આજે આજે રવિવારે વિજયા દશમીના દિવસે સવારે ખાનગી રીક્ષા મારફતે પોતાના ઘરે ચોસાલા પરત ફરતી વેળાએ રસ્તામાં નાનીડોકી ગામે 30 ફૂટ ઊંડા તળાવમાં રીક્ષા ખાબકી હતી. જેમાં નવજાત બાળક સહિત ત્રણ કમનસીબ બાળકો મોતને ભેટ્યા હતા તેમજ અન્ય ત્રણ મહિલાઓને બહાર કાઢીને 108 મારફતે દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
વધુ મળતી માહિતી પ્રમાણે રિક્ષામાં છ લોકો સવાર હતા. જેમાં નવજાત બાળક સહિત ત્રણ બાળકો અને માતા સહિત બે મહિલા અને રીક્ષા ડ્રાઈવરનો સમાવેશ થાય છે. ઘટનામાં મૃતક થયેલા બાળકોમાં છ વર્ષની પ્રિયંકાબેન કનુભાઈ બારિયા, 5 વર્ષનો આર્યન કલસિંગભાઈ માવી અને નવજાત બાળકનો સમાવેશ થાય છે. જ્યારે ઈજાગ્રસ્તમાં 25 વર્ષીય રંગીબેન કલસિંગભાઈ માવી જ્યારે 60 વર્ષના સિતાબેન નરસિંગભાઈ બારીયાનો સમાવેશ થાય છે.