દાહોદ: હાઇવે પર લૂંટના બનાવો બનતા રહે છે. હવે દાહોદના જેકોટ નજીક હાઈવે પર લૂંટફાટનો એક મામલો સામે આવ્યો છે. જેકોટ હાઈવે ઉપર પાંચ જેટલા હથિયારધારી લૂંટારુએ વડોદરાથી આવી રહેલા એક પરિવારને લૂંટી લીધો છે. લૂંટની મોડસ ઓપરેન્ડી પ્રમાણે લૂંટારુઓએ પહેલા પરિવારની કારમાં પંક્ચર કરી દીધું હતું. બાદમાં હથિયારો સાથે લૂંટ ચલાવી હતી. પીડિત પરિવાર વડોદરાથી દાહોદ આવી રહ્યો હતો. લૂંટારુઓએ પરિવારના સભ્યોને માર પણ માર્યો હતો અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. બનાવ બનતા એસપી સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. લૂંટારુઓએ અન્ય એક ટેમ્પોમાં પણ પંક્ચર પાડીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. (આગળ જુઓ ગુજરાતના મહત્ત્વના સમાચાર, તમામ તસવીરો દાહોદ લૂંટ)
સુરતમાં સ્ટંટ કરી રહેલો યુવક સળગી ઉઠ્યો: શહેરમાં ગણપતિ મહોત્સવ દરમિયાન એક ખૂબ ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. અહીં ગણપતિ આગમનમાં આગ સાથે સ્ટંટ કરતાં લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ગણપતિ આગમનમાં આગ સાથે સ્ટંટ કરવું યુવકને ભારે પડ્યું છે. જલનશીલ પદાર્થ મોઢામાં લઈને સ્ટંટ કરતી વખતે યુવકના શરીર પર લાગી આગ હતી. સ્ટંટ કરતાં યુવકને સળગતી હાલતમાં જોતા આગમન યાત્રામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પાકિસ્તાનના પૂરના પાણી કચ્છમાં ફરી વળ્યા : પાકિસ્તાનમં થયેલી અતિવૃષ્ટિની અસર કચ્છમાં જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં પડેલા અનરાધાર વરસાદના પાણી હવે કચ્છમાં ફરી વળ્યા છે, ત્યારે રણ જાણે દરિયામાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના અતિવૃષ્ટિના પાણી કચ્છમાં ઘૂસી ગયા છે અને અહીં ધોળાવીરા-ખાવડા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. પાકિસ્તાથી આવેલા વરસાદી પાણીને લીધે માર્ગ ધોવાઇ ગયા છે. અનેક જગ્યાએ માર્ગ ધોવાયા હોવાની ફરિયાદો સ્થાનિક લોકો કરી રહ્યા છે, ત્યારે એના લીધે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાકિસ્તાનથી આવેલું 38 કિલો હેરોઇન કચ્છથી પંજાબ પહોંચ્યું : કચ્છમાંથી પંજાબ મોકલવામાં આવેલા હેરોઇન મામલે ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે. આ મામલે ગુજરાત એટીએસ દ્વારા કચ્છમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એટીએસ દ્વારા કચ્છના લખ્ખી ગામમાંથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બન્ને આરોપીઓને 38 કિલો હેરોઇન કચ્છથી પંજાબ મોકલવા મામલે ઝડપી પાડવામાં આવ્યા છે. આ ડ્રગ પંજાબમાં પકડાઇ જવાથી સમગ્ર મામલો સામે આવ્યો હતો.
બેકાબૂ ST બસે 11 વાહનોને અડફેટે લીધા: રાજ્યમાં એક પછી એક અકસ્માતોની ઘટના સામે આવી રહી છે, ત્યારે હવે કચ્છમાં એસટી બસ દ્વારા અકસ્માત સર્જાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. અહીં એસટી બસે 11 વાહનોને અડફેટે લીધા છે. જેમાં એક બાઇક ચાલકનું મોત નિપજ્યું છે. જ્યારે 15થી વધુ લોકોને ઇજા પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.