

મયુર માકડિયા, અમદાવાદ: કોરોનાની મહામારીમાં ઘણા સેવાભાવી લોકો અને સંસ્થાઓએ દેશ પર એકાએક આવી પડેલી આપદામાં મદદરૂપ બનવા સ્વેચ્છાએ શારીરિક અને આર્થિકરૂપે સેવા સુશ્રુષાનો ધોધ વહાવ્યો છે. હાલ પણ કોરોનાની વિકટ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઇને વડોદરા સ્થિત સેવાભાવી સંસ્થા દ્વારા ખાનગી કંપનીના સહયોગથી સિવિલ હૉસ્પિટલમાં C.S.R.પ્રવૃતિઓ એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી (સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ) હેઠળ સિવિલ હોસ્પિટલમાં 100 જેટલા ટેબલેટ ભેટ કરવામાં આવ્યા હતા.


સરકાર દ્વારા કાર્યરત ડિજિટલ ભારત મિશનને પ્રોત્સાહન આપવાના હેતુસર તેમજ બાળકોને ઓનલાઇન શિક્ષણમાં વધુ પરિપક્વ બનાવવા માટે ખાનગી કંપની દ્વારા 100 જેટલા અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ ટેબલટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ ટેબલેટ નર્સિગ, લેબ ટેક્નિશિયન, વર્ગ-4ના કર્મચારીઓ કે જેમના સંતાન ઘોરણ 4થી 11માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા હોય તેમાં બે વર્ષનું બાયજુસ ઓનલાઇન એપના સબસ્ક્રિપશન સાથે ભેટ કરવામાં આવ્યા હતા.


વડોદરા સ્થિત સેવાભાવી સંસ્થાના ડાયરેક્ટર ડૉ. બીનિતા વર્ડીયાએ કહ્યુ કે "અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની શ્રેષ્ઠ સારવાર કરવામાં આવી રહી છે. એશિયાની સૌથી મોટી હૉસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-સુશ્રુષા કરી રહેલા મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ કર્મીઓના સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે હેતુસર આ નેમ હાથ ધરવામાં આવી છે." સિવિલ હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.જે.પી. મોદીએ સંસ્થા તરફથી મળેલ ભેટને સ્વીકારતાં કહ્યું કે, વડોદરા સ્થિત સેવાભાવી સંસ્થા અને કંપની દ્વારા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પરિવારના બાળકોના કારકિર્દી ઘડતરની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમના કારકિર્દી ઘડતરમાં મદદરૂપ થવા માટેના પ્રયાસો ખરા અર્થમાં પ્રશંસાને પાત્ર છે.


"આ સેવાભાવી સંસ્થા દ્વારા અમારી હૉસ્પિટલને અગાઉ પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં ઉપયોગી નીવડે એવા અત્યાધુનિક વેન્ટિલેટર, હાઇટેક મશીનરી, બાયપેપના માસ્ક ભેટ કરવામાં આવ્યા હતા, જે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં ખૂબ જ ઉપયોગી રહ્યા છે. હું વડોદરા સ્થિત એન.જી.ઓ.ની સી.એસ.આર. પ્રવૃતિ અંતર્ગત કરવામાં આવેલી આ પહેલને બિરદાવું છુ. આવી જ રીતે અન્ય સંસ્થા અને વ્યક્તિ સમાજઉપયોગી બની દેશને આ મહામારીમાંથી ઉગારવામાં મદદરૂપ બને," તેમ ડૉ. જે.પી.મોદીએ ઉમેર્યુ હતુ.