Big News: રાજ્યમાં ખાનગી ટ્રાવેલ્સના ભાડામાં 200 રૂપિયા સુધીનો ધરખમ વધારો, જાણો - કયા શહેર માટે કેટલું ભાડુ થશે?
ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોનું કહેવું છે કે, અમારી બસો હજુ પણ ધૂળ ખાઈ રહી છે પ્રવાસીઓ મળી રહ્યા નથી. ઉપરાંત ખૂબ જ ઓછી ટ્રીપો ચાલી રહી છે અને તે પણ કોરોના ગાઇડલાઇન્સ પ્રમાણેના પેસેન્જર સાથે, જેથી અમને પોસાય તેમ નથી


સંજય જોશી, અમદાવાદ: અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળના ચેરમેન મેઘજીભાઈ ખેતાની જણાવે છે કે, સરકારેને વધુ 6 મહિના એટલે કે એક વર્ષ માટે ખાનગી બસો પરનો ટેક્સ માફ કરવા રજૂઆત કરવામાં આવી છે, જે અત્યાર સુધી સરકારે છ મહિના માટે માફ કર્યું છે, તેમાં વધુ છ મહિના રાહત આપવામાં આવે તેવી અમે માગણી કરી છે.


ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોનું કહેવું છે કે, અમારી બસો હજુ પણ ધૂળ ખાઈ રહી છે પ્રવાસીઓ મળી રહ્યા નથી. ઉપરાંત ખૂબ જ ઓછી ટ્રીપો ચાલી રહી છે અને તે પણ કોરોના ગાઇડલાઇન્સ પ્રમાણેના પેસેન્જર સાથે, જેથી અમને પોસાય તેમ નથી. lockdown અંતર્ગત કોરોના કહેર વચ્ચે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોને ત્રણ હજાર કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું પણ ચેરમેન જણાવી રહ્યા છે તેથી હજુ પણ ટેક્સમાં રાહત સરકારે આપવી જરૂરી બને છે, આ મામલે સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે.


તેમનું કહેવું છે કે, છેલ્લા ત્રણ મહિનામાં ડીઝલાના ભાવ વધારો થયો છે, તેના કારણે જ અમારે ભાડાં વધારવા પડ્યા છે, બાકી lockdownના કારણે જે નુકસાન થયું છે તે અમે જ ભોગવી રહ્યા છીએ. રાજ્યમાં કોરોના કહેરને પગલે માર્ચ મહિનાથી સતત લોકડાઉન ને પગલે તમામ વેપાર-ધંધાને નુકસાન પહોંચ્યું છે. જેમા ખાસ કારીને ટ્રાન્સપૉર્ટ બિઝનેસને મોટી ખોટ પડી છે. સતત 4 મહિના સુધી ખાનગી બસ સેવા બંધ હોવાના કારણે કંપનીઓને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે અનલોકમાં સરકારે કેટલીક શરતો સાથે બસ સેવા શરૂ કરાઈ છે. જેમાં 30 ટકાથી વધુ મુસાફરો બેસાડવાની મંજૂરી આપવામાં આવી નથી. જેના કારણે બસ સંચાલકોને ભાડું પોસાય એમ ન હોવાથી હવે ખાનગી લક્ઝરીઓના ભાડામાં 100થી 200 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.


ખાનગી બસ સંચાલકોઓ રૂ.100થી રૂ.200 સુધી ભાડાં વધાર્યા<br />- જૂનું (ભાડું) અને નવુ(ભાડું)<br />- અમદાવાદથી રાજકોટ રૂ.350થી 400 રૂ.550 થી 600<br />- અમદાવાદથી સુરત રૂ.300થી 400 રૂ.350થી વધારે<br />- અમદાવાદથી ભૂજ રૂ.500થી600 રૂ.750થી વધારે<br />- અમદાવાદથી અમરેલી રૂ.300થી 350 રૂ. 350થી વધારે


મુંબઈ, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી ગુજરાતમાં આવતી બસો ઘટી છે. આંતરરાજ્ય બસ સેવા પર મોટી અસર પડી છે, ત્યારે હાલમાં ખાનગી લક્ઝરી બસમાં માત્ર 15થી 20 મુસાફરોને જ બેસાડવામાં આવે છે. તેવામાં બસના ડ્રાઈવર તેમજ ક્લિનરનો ખર્ચ અને મોંઘા ભાવનું ડિઝલનો ખર્ચ કાઢીને બસ સંચાલકને નફાથી વધારે નુકસાન થઈ રહ્યું છે. મુંબઈ, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી ગુજરાતમાં આવતી ખાનગી બસોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે રાજ્યની વાત કરીએ તો અમદાવાદથી સુરત અથવા સુરતથી અમદાવાદ કે અન્ય જિલ્લાઓમાંથી અવર-જવર કરતી ખાનગી બસોની સંખ્યામાં પણ 45 થી 50 જેટલો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં એક સીટ પર એક જ મુસાફરને બેસાડવામાં આવે છે.


તહેવારોના સમયમાં ખાનગી બસ સેવા શરૂ થતા મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે. પરંતુ અચાનક ભાડાંમાં 100થી 200 રૂપિયાનો વધારો થતા લોકોના બજેટ પર મોટી અસર થશે. બસ સંચાલકોએ પણ મજબૂરીમાં ભાડાં વધારવાનો નિર્ણય લીધો હોવાનું જણાવી રહ્યા છે. કારણ કે સરકારની ગાઈડલાઈન અનુસાર ખાનગી તેમજ સરકારી એમ તમામ બસોની બેઠક વ્યવસ્થામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. તેમજ સ્ક્રીનિંગ કરી તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ કર્યા બાદ જ તમામ મુસાફરોને બસમાં એન્ટ્રી મળે છે. સાથે જ હાલમાં એક સીટ પર એક જ મુસાફરને બેસાડવામાં આવે છે. જેના કારણે બસ સંચાલકોને આર્થિક નુકસાન પડી રહ્યું હોવાનું તેઓ જણાવે છે.