

અમદાવાદ : બીજેપી નેતા ગોરધન ઝડફિયાની (Gordhan zadafiya) હત્યા માટે મુંબઈથી (Murder of zadafiya) આવેલા એક શાર્પ શૂટરની ગુજરાત એટીએસ (Gujarat ATS) અને ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. આ પહેલા શાર્પ શૂટરે (Sharp Shooter) ગુજરાત એટીએસ (Gujarat ATS) અને ક્રાઇમ બ્રાંચની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. ગુજરાતમાં મોટા કાંડને અંજામ આપવા માટે શાર્પ શૂટર આવ્યો હોવા અંગે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને માહિતી મળ્યા બાદ મંગળવારે મોડી રાત્રે ટીમ અમદાવાદની રિલિફ રોડ પર આવેલી હોટલ ખાતે દરોડા કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન આ ફાયરિંગ થયું હતું. આ મામલે રાજ્યના ગૃહરાજ્યમંત્રી (pradipsinh jadeja) પ્રદિપસિંહ જાડેજાએ સત્તાવાર નિવેદન આપ્યું છે.


ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે 'ભારતીય જનતા પાર્ટીના નેતાની હત્યા કરવા એક શખ્સ આવેલો છે, આવી માહિતી મળતા.ગુજરાત પોલીસના એન્ટિ ટેરરિસ્ટ સ્કવૉડને મળેલી માહિતીના આધારે અમદાવાદની રિલિફ રોડ પર આવેલી હોટલમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ પોતાની કમરના ભાગે લોડેડ બંદૂક રાખેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ તેની ધરપકડ કરવા જતા તેણે ફાયરિંગ કર્યુ હતું. જોકે, એ વખતે કોઈને ઇજા થઈ નહી પરંતુ પોલીસ તેની પર તૂટી પડી અને તેને ઝડપી પાડ્યો હતો.'


પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે 'ઝડપાયેલા શખ્સની ટેકનિકલ તપાસના આધારે જાણવા મળ્યું કે આ વ્યક્તિ અમારા નેતા અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયાની હત્યા કરવા માટે આવ્યો હતો. તેમની હત્યાની સોપારી આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. અમે તાત્કાલિક ગોરધનભાઈને જાણ કરી છે, તેમની સુરક્ષા વધારવામાં આવી છે.'


પ્રદિપસિંહે ઉમેર્યુ કે 'વારંવાર ગુજરાતના નેતાઓ નિશાને હોવાની માહિતીઓ પોલીસ વિભાગને મળતી રહેતી હોય છે. આ કેસમાં પણ ગુજરાતની પોલીસની સતર્કતાના કારણે એક શખ્સ પકડાયો છે. જ્યારે હત્યા કરવા બે વ્યક્તિ આવ્યા હતા, બીજો વ્યક્તિ આ હુમલાખોર સુધી પહોંચી નહોતો શક્યો.'